કાશ્મીરમાં ઋતુનો રંગ અચાનક બદલાયો છે. વરસાદ, ભૂસ્ખલનને લીધે સ્થિતિ વણસી છે. જીનજીવન અને પ્રવાસન ઉપર તેની માઠી અસર થઈ ઁછે. સામાન્ય રીતે ફેબ્રુઆરી પછી અહીં બરફ વર્ષા થતી નથી પરંતુ કેટલાક હિસ્સામાં આ એપ્રિલ માસના અંતિમ તબક્કે પણ બરફ પડયો હોવાથી વેપાર-ધંધા અને કૃષિ તથા પરિવહન ઉપર વિપરિત અસર પડી છે. એક તરફ ગુજરાત અને અન્ય પ્રાંતોમાં ચામડી તો ઠીક, લોહી બાળતી ગરમી પડી રહી છે ત્યારે બીજી બાજુ કાશ્મિરમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. રામવન, કિશ્તવાડ અને ગુરેજ વિસ્તારમાં સૌથી વધારે મુશ્કેલી છે. વરસાદને લીધે ભૂસ્ખલન થયું છે. રસ્તાઓ બંધ છે.
એપ્રિલ-મે
માસ કાશ્મીરમાં પ્રવાસીઓનું પ્રમાણ વધારે રહે છે. લાંબા અરસા પછી છેલ્લા બે-અઢી વર્ષથી
કાશ્મીરમાં ફરી પ્રવાસીઓનો ધસારો વધ્યો છે અને અત્યારે ઘાટીમાં દેશના વિભિન્ન હિસ્સાઓમાંથી
લોકો પહોંચ્યા છે ત્યારે જ આ સ્થિતિ સર્જાતાં તેમની આપદા પણ વધી છે. આર્થિક રીતે માંડ
બેઠાં થઈ રહેલા કાશ્મીરને રીતસર એક ફટકો પડયો છે. પુલવામા, શોપિયા અને ફૂલગામ જેવા
વિસ્તારોમાં સફરજનના બગીચામાં આ વરસાદને લીધે નુકસાન થયું છે. ખેડુતો નિરાશ છે. સરકારની
અહીં મહત્વની ભૂમિકા નજીકના ભવિષ્યમાં રહેશે.
લદ્દાખ, જમ્મુ અને શ્રીનગરથી ગુરેજ તરફ જતા માર્ગો બંધ છે. જેલમ સહિતની નદીઓમાં
ઉનાળામાં ન હોય એટલું જળસ્તર વધ્યું છે. 40 થી વધારે મકાનો પડયાં છે. વાહનો અને વૃક્ષો
બન્નેને નુકસાન થયું છે. એસડીઆરએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ સહિતની એજન્સીઓએ અસરગ્રસ્ત
વિસ્તારોમાં સેવાનો દોર સંભાળી લીધો છે. મુખ્યમંત્રી ઓમર અબદુલ્લાએ રાજ્ય સરકાર સ્થિતિને
પહોંચી વળવા માટે સતત પ્રયાસરત હોવાનો સધિયારો આપ્યો છે. શાળાઓ બંધ કરી દેવાઈ છે. જો
કે સૌથી વધારે નુકસાન તો ખેતીને અને રસ્તા સહિતની માળખાંગત સુવિધાઓને છે. રાજ્ય સરકાર
માટે મોટો પડકાર છે બહારના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓની સલામતીનો. તેઓ જ્યાં હોય ત્યાંથી
તેમને સલામત સ્થળે ખસેડી વતન પહોંચાડવાના કાર્યને અગ્રતા આપવી જ પડશે. રસ્તાઓ બંધ છે.
પરિવહન ઉપર અસર પડી છે. આ સ્થિતિમાં કૃષિનું
નુકસાન ભરપાઈ કરવું પડશે, મકાનોમાં રહેતા લોકોના પુન: વસનની વ્યવસ્થા કરવી પડશે.