• બુધવાર, 21 મે, 2025

યુનુસનો બિનમૈત્રીપૂર્ણ વ્યવહાર

બાંગલાદેશ તેને પાકિસ્તાનથી આઝાદી અપાવવામાં ભારત અને ભારતીયોનાં યોગદાન અને બલિદાનને વિસરીને મિત્રતાને દુશ્મનાવટનો રંગ આપવાની કોઈ તક જતી ન કરતું હોવાની સ્થિતિ ભારત માટે નવો પડકાર ખડો કરી રહી છે. બાંગલાદેશની વચગાળાની સરકારના વડા મહોમ્મદ યુનુસે ભારતના ચિકન નેક વિસ્તાર પર ચીનમાં જઈને નિવેદન આપીને વધુ એક ઉંબાડીયું ઊભું કર્યું છે. ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યોને દેશના મુખ્ય ભૂભાગ સાથે જોડતો આ પાતળો ચિકન નેક વિસ્તાર વ્યૂહાત્મક રીતે ભારે મહત્ત્વ ધરાવે છે. આવામાં ચીનમાં જઈને યુનુસે છેડેલી ચર્ચાએ ભારતને આ વિસ્તારની સલામતી માટે લશ્કરી જમાવટને મજબૂત કરવાનાં પગલાં લેવાની ફરજ પાડી છે. 

એક તરફ દેશમાં કાશ્મીરના આતંકી હુમલાની સામે રોષ છે, ત્યારે મળતા અહેવાલ મુજબ પાકિસ્તાનની નાપાક ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ હવે બાંગલાદેશમાં રહીને ભારત વિરોધી જૂથોને મદદ કરવાનો કારસો શરૂ કરી દીધો છે. આમે પણ પાકિસ્તાન ભારતમાં આંતરિક વિખવાદ જગાવે એવાં ઓપરેશન કરવા સતત સક્રિય રહે છે. આવામાં અત્યાર સુધી બાંગલાદેશમાં પાકિસ્તાન અને તેની નાપાક એજન્સી માટે ભારત વિરોધી પ્રવૃત્તિની કોઈ તક મળતી ન હતી, પણ સત્તાપલટા બાદ બાંગલાદેશની વચગાળાની સરકારે ભારત વિરોધી વલણ લઈને પાકિસ્તાન સાથેના સંબંધ સામાન્ય બનાવવા શરૂ કરી દીધા છે. આનો લાભ હવે આઈએસઆઈ ઉઠાવી રહી છે. વળી પાકિસ્તાનની સાથોસાથ ચીન પણ હવે બાંગલાદેશને પોતાની પડખે ખેંચવા યુનુસની માટે લાલ જાજમ પાથરી રહ્યંy છે. આવામાં ચીન અને પાકિસ્તાનની ભારત વિરોધી ધરીમાં હવે બાંગલાદેશ જોડાઈ ગયું છે.  બાંગલાદેશ અને તેના વચગાળાના શાસક  ભારત વિરોધી લાગણીના પ્રવાહમાં તણાઈને ખુદને નુકસાન પહોંચાડી રહ્યા છે. 

સત્તાપલટા છતાં આજે પણ બાંગલાદેશ સંખ્યાબંધ બાબતોમાં ભારત પર નિર્ભર છે. અનાજથી માંડીને ટેક્નોલોજી સહિતના મુદ્દે ભારત વગર બાંગલાદેશને ચાલે તેમ નથી. વળી મેડિકલ ઈમર્જન્સીમાં બાંગલાદેશીઓ માટે ભારત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમુક કટ્ટરતાવાદી પરિબળોને બાદ કરતાં મોટાભાગના બાંગલાદેશીઓ ભારત સાથે સારા સંબંધ ઈચ્છે છે. લોકો હવે ભારત વિરોધી લાગણી અને વલણનાં પરિણામથી ચિંતિત બન્યા છે. હાલે તો યુનુસ આર્થિક મદદ માટે ચીન તરફ અપેક્ષા રાખી રહ્યા છે. ચીન બાંગલાદેશને પોતાની તરફ ખેંચવા મોટાપાયે રોકાણ કરતા ખચકાય તેમ નથી, પણ આજે આખી દુનિયા ચીનનાં રોકાણની કિંમતનાં ઉદાહરણો જોઈ ચૂકી છે. આવામાં યુનુસે ચિકન નેક વિસ્તારની નજીક લાલમોનિહરાટમાં વિમાન મથક બનાવવા ચીનની મદદ માગી છે. ભારત માટે આ પગલું ચેતવા જેવું છે. ખાસ તો બાંગલાદેશની આ નવી નેતાગીરીને વાસ્તવિક્તાનું ભાન થાય એવું વળતું વલણ લેવાનો ભારત માટે સમય પાકી ગયો છે. યુનુસ અને તેમની સરકારને સાચી મિત્રતાની સમજના પાઠ આપવા પણ ભારતે પગલાં લેવાં જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક