• શનિવાર, 10 જૂન, 2023

વિદ્યાર્થીની સાથે શિક્ષણ વિભાગની સજ્જતા પણ જરૂરી

રાજ્યમાં આ વર્ષથી નવી શિક્ષાનીતિના અમલ માટે શિક્ષાવિભાગ વ્યસ્ત છે.  એનસીઈઆરટી તો ઘણા સમયથી ઈતિહાસ બદલાવવામાં ગૂંથાયેલું છે. પાઠયપુસ્તકમાં હોય તે વિદ્યાર્થીના જીવનમાં પણ ઉતરે તે વાત શિક્ષણનો આદર્શ છે. ભણાવવામાં આવતી બાબતો વિદ્યાર્થીના મનમાં તો ઉતરવી જોઈએ, તેવું  આજે જાહેર થયેલા એસએસસીના પરિણામ પછી કહી શકાય, કહેવું પડે તેમ છે.

30 ટકાથી પણ ઓછું પરિણામ આવ્યું હોય તેવી શાળાની સંખ્યા ગયા વર્ષે 1007 હતી આ વર્ષે રાજ્યમાં એવી શાળા 1084 છે. ગયા વર્ષે 294 શાળા એવી હતી જેનું પરિણામ 100 ટકા હતું. આ વર્ષે 272 શાળા 100 ટકા પરિણામ ધરાવતી છે, શાળામાં 22નો ઘટાડો થયો છે. બે વિષયમાં જેમને સુધારાને અવકાશ છે એટલે કે નિયત ધોરણ કરતાં ઓછા માર્ક્સ મળ્યા હોય તેવા વિદ્યાર્થી ગત વર્ષે 54373 હતા આ વર્ષે તે સંખ્યા 74538 થઈ ગયા છે. દાવા તો એવા છે કે શિક્ષણક્ષેત્રે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. એ1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા 12090 હતી જે આ વર્ષે 6111 થઈ, એ-ટુ માં પણ વિદ્યાર્થી ગયા વર્ષે 52992 હતા જે આ વર્ષે ઘટીને 44480 થઈ ગઈ છે.

સંખ્યાત્મક સરખામણી લાંબી ચાલે. વાસ્તવિકતા એ છે કે શૈક્ષણિક સ્તર ઘટયું છે. વિશ્વ આખું ટેક્નોલોજી પર વધારે અવલંબિત થઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ આપણા આંગણે આવીને હવે ઘરમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે વિજ્ઞાનમાં આપણે ત્યાં આ વર્ષે સૌથી વધારે વિદ્યાર્થી નાપાસ થયા છે. માતૃભાષા માટે સરકારને ઘણી ચિંતા છે તેવું સતત કહેવાય છે. ઈંગ્લીશ નામોવાળી સરકારી યોજનાની સંખ્યા પણ રાજ્યમાં ઘણી છે અને તેવા માહોલમાં ગુજરાતી વિષયમાં 16 ટકા પરીક્ષાર્થીઓ નાપાસ થયા છે. ઈંગ્લીશ વિષયનું પરિણામ 95.06 ટકા આવ્યું છે. કલાકારો, વક્તાઓ, સાહિત્યકારો, સરકાર વતી ભાષા-સંસ્કૃતિ માટે મંચ ગજાવે છે પરંતુ વિદ્યાર્થીના પરિણામ પર તેની અસર દેખાતી નથી. શિક્ષાનીતિનું સ્વાગત હોય. પાઠયપુસ્તકમાં જે ફેરફાર કરવા જરૂરી લાગે તે થાય તેમાં પણ વાંધો નથી પરંતુ શિક્ષણનું સ્તર તો જળવાવું જ જોઈએ. કેરળ, કર્ણાટક જેવા રાજ્યોમાં શિક્ષણ અગ્રક્રમે છે. આપણે આગળ જવાની વાત અત્યારે થંભી ગઈ છે, જ્યાં છીએ ત્યાં ટકવા માટે મથવાનું છે.