સ્ટ્રીટલાઇટના
બાકી પૈસા ન ભરાતા નિયમ પ્રમાણે કનેકશન કટ કરી નાખતા સરપંચ ગરિમા ભૂલ્યા : ફરજમાં રુકાવટનો
ગુનો નોંધાયો
પોરબંદર,
તા.27: પોરબંદરના પાંડાવદર ગામે પી.જી.વી.સી.એલ.ના જુનિયર આસિસ્ટન્ટ મહિલા કર્મચારી
અને અન્ય કર્મચારીઓ ગ્રામ પંચાયતના બિલની રીકવરી કરવા માટે ગયા હતા જ્યાં ગ્રામ પંચાયતના
સ્ટ્રીટલાઇટના કનેક્શનના પૈસા બાકી હોવાથી તલાટીમંત્રીને પૂછતા તેણે પૈસા નથી તેમ જણાવી
દેતા નિયમ પ્રમાણે આ મહિલા કર્મચારી અને ટીમે કનેકશન કાપી નાખતા અચાનક ધસી આવેલા સરપંચ
અને તેના બે સાગરીતોએ ગરિમાને નેવે મૂકીને મહિલાને વાળ પકડીને ઢસડી હતી અને માર માર્યો
હતો.
બગવદર
પી.જી.વી. સી.એલ.ના સબડિવિઝનમાં જુનીયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન મનીષભાઇ
મોઢા નામના 44 વર્ષના મહિલા કર્મચારીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બિલની રીકવરી
માટે અને અલગ અલગ ગામના કનેકશન કાપવા માટેના મેમોની બજવણી કરવા માટે સરકારની ગાડી લઇને
નીકળ્યા હતા. તેમા તેમની સાથે અન્ય જુનિયર આસિસ્ટન્ટ મનોજભાઇ કોડીયાતર, ઇલેક્ટ્રિક
આસીસ્ટન્ટ જીત સુરેશભાઇ મોઢા તથા આઉટ સોર્સ ડ્રાઇવર લખમણભાઇ ઓડેદરા વગેરે ભારવાડા,
કાટવાણા અને ત્યાંથી પાંડાવદર ગામે ગયા હતા.
પાંડાવદર ગ્રામ પંચાયતની સ્ટ્રીટલાઇટના બાકી પૈસા અંગે તલાટીમંત્રીને કહ્યુ
હતુ કે, તમારી પંચાયત ઓફિસના સ્ટ્રીટલાઇટના કનેકશનના પૈસા બાકી છે. કયારે ભરશો? મંત્રીએ
કહ્યું કે પંચાયતના એકાઉન્ટમાં પૈસા નથી, જમે નિમય મુજબ જે થતું હોય તે કરો. જેથી ફરજના ભાગરૂપે જાગૃતિબેને અને તેમની ટીમે ગ્રામપંચાયતનું
પી.જી.વી.સી.એલ.નું સ્ટ્રીટલાઇટનું કનેકશન કટ કરી નાખ્યુ હતુ. જેથી ગમાના સરપંચ ધર્મેદ્રાસિંહ જેઠવા તેની સાથે
બે અજાણ્યા માણસો આવી પહોંચ્યો હતો અને કોઇપણ પ્રકારની વાત પૂછયા વગર જુનિયર આસિસ્ટન્ટ
મનોજભાઇ કોડીયાતરને ઝાપટના ત્રણ ઘા ગાલ ઉપર મારી દીધા હતા અને ગાળો બોલવા લાગ્યો હતો.
ત્યારબાદ એ ત્રણે ઇસમ જાગૃતિ પાસે આવ્યા હતા અને તેમને વાળ પકડીને નીચે પછાડી દીધા
હતા અને રોડ પર ઢસડીને ગાલ પર ઝાપટના ત્રણ
ઘા માર્યા હતા. ત્યારબાદ એ લોકોથી બચીને જાગૃતિબેન મનીષભાઇ મોઢા અને કર્મચારીઓ સીધા
તેમની ઓફિસે ગયા હતા ત્યાર પછી અડવાણાના સી.એચ.સી. કેદ્ર ખાતે અને ત્યાથી સરકારી ભાવાસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા
હતા. જ્યાં બન્નેની સારવાર ચાલુ છે અને પોલીસ કાફલો ઉપરાંત પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ
પણ દોડી આવ્યા હતા અને ત્યાંથી જાગૃતિબેને આ મુદ્દે ગામના સરપંચ ધર્મેન્દ્રાસિંહ જેઠવા
સહિત અજાણ્યા બે ઇસમો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે અને
બગવદર પોલીસમથકના પી.એસ.આઇ. આશિષભાઇ બારાએ આગળની તપાસ હાથ ધરી છે.