• બુધવાર, 21 મે, 2025

રાજકોટ અને સુરેન્દ્રનગર 43 ડિગ્રી સાથે ‘હોટ’ ફેવરીટ

રાજ્યના 13 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોચતા લોકો અકળાયા

આગામી ત્રણ દિવસ હજુ તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની સંભાવના

રાજકોટ, તા.22: રાજ્યમાં હવામાન વિભાગે ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારા સાથે ત્રણ દિવસ આકરી ગરમીની આગાહી કરી છે. આજે રાજકોટ અને સુરેન્દ્રનગર 43 ડિગ્રી સાથે અગનભઠ્ઠી બન્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહતમ તાપમાનનો પારો ઉંચે જતા લોકોને આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે અહસ્ય ઉકળાટથી બચવા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આજે 13 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 

આ દરમિયાન 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી જેટલું રહેશે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં 23 અને 24 એપ્રિલમાં ઉકળાટ અને ભેજવાળા વાતાવરણનો પણ સામનો કરવો પડી શકે છે જ્યારે આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે. આજે પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યંy છે. તદુપરાંત અન્ય શહેરોમાં ગઇકાલની તુલનામાં 1થી ડિગ્રીનો વધારો થયો હતો. 

સુરેન્દ્રનગરમાં ગરમીના પગલે કચેરીઓના સમયમાં ફેરફાર

સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 42 સે.થી 44 સે. પહોંચી રહ્યો છે. આગામી દિવસોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. હીટવેવથી થતી વિપરીત અસરો નિવારી શકાય એ માટે જરૂરી પગલાં લેવાના ભાગરૂપે કલેક્ટર કચેરી તથા તાલુકાનાં તમામ જનસેવા કેન્દ્રો તેમજ તાલુકાના તમામ ઇ-ધરા કેન્દ્રો, આધારકેન્દ્રો તેમજ બેન્ક અને પોસ્ટઓફિસનાં તમામ આધારકેન્દ્રો ખાતે જાહેર જનતા વિષયક કામગીરી સબંધે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એ મુજબ જિલ્લાના જનસેવા કેન્દ્રમાં હાલનો સમય સવારના 10.30થી 6.10ના બદલે સવારના 9થી 1 તથા બપોર બાદ 4થી 6 સુધી નક્કી કરવામાં આવ્યો છે. સદરહુ સમયની અમલવારી તા. 15/6/2025 સુધી કરવામાં આવશે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક