રાજકોટ, તા.8: (ફૂલછાબ ન્યૂઝ) ભારતે પાકિસ્તાન સાથે વ્યાપારી સંબંધો પુલવામા હુમલા અને એ પહેલાથી સાવ ઓછાં કરી નાંખ્યા હતા. જોકે પહલગામ હુમલા પછી વેપાર સ્થગિત કરી દેવાયો છે. અલબત્ત ભારતને એની કોઇ અસર નથી પણ પાકિસ્તાનમાં આંતરિક મુશ્કેલીઓ ભારતીય માલ નહીં મળવાને લીધે સર્જાવાની નક્કી છે. સ્થાનિક વેપારીઓએ કહ્યું હતુ કે, અગાઉ ડુંગળી અને ટમેટાં જેવા શાકભાજી ભારતથી ખૂબ જતા હતા પણ કેટલાક વર્ષોથી ડુંગળીની નિકાસ આપણે પાકિસ્તાનને કરવાનું બંધ કરી નાંખ્યું છે. બીજી તરફ અફઘાનના સૂકામેવા વાયા પાકિસ્તાન આવતા તે બંધ થયા છે પણ એની અસર સ્થાનિક બજારોમાં નથી.
ડુંગળીના એક વેપારી કહે છે, સૌરાષ્ટ્રમાંથી
પાકિસ્તાનના નાના બંદરો પર અગાઉ ડુંગળી મોકલાતી હતી. જોકે સરકારે તે અટકાવી દીધી છે
એટલે કેટલાક વર્ષોથી વેપાર બંધ છે. બીજા કોઇ માર્ગે પણ ડુંગળી મોકલવાની છૂટ નથી. હવે
તો વેપારી સંબંધો જ કપાયા છે.
ભારતમાંથી પાકિસ્તાનમાં શાકભાજી,
ફળો, થોડાં પ્રમાણમાં ચા, મસાલા, દવાઓ વગેરે મોકલાતા હતા. હવે વેપાર સ્થગિત છે. ભારતમાં
પાકિસ્તાનના તરબૂચ, સિમેન્ટ, સિંધાલૂણ, અને મુલતાની માટી જેવી ચીજો આવતી રહેતી હતી.એ
ઉપરાંત અંજીર, જરદાળુ, કાળીદ્રાક્ષ, ખારેક વગેરે મૂળ અફઘાનિસ્તાનથી પણ વાયા પાકિસ્તાન
પણ તે ભારતમાં આવી રહ્યા હતા. હાલ તો આ બધી ચીજવસ્તુઓની આવક બંધ છે. રાજકોટના એક વેપારી
કહે છે, સૂકામેવાની આવક બંધ જેવી થઇ ગઇ છે પણ ભાવ પર કોઇ અસર દેખાઇ નથી. પાકિસ્તાન
સાથે સંઘર્ષ લાંબો ચાલે તેમ છે એ જોતા હવે અફઘાનિસ્તાનના માલ કઇ રીતે આવે છે તે જોવાનું
રહેશે.
ભારતે વેપારી સંબંધો અટકાવી દઇને
નિર્ણાયક પગલું ભર્યું હોવાનું વેપારીઓએ કહ્યું હતુ. 2019ના વર્ષમાં થયેલા પુલવામા
હુમલા પછી વેપાર સાવ ઘટાડી નાંખવામાં આવ્યો છે. લગભગ અર્ધાથી પણ ઓછો વેપાર થઇ ચૂક્યો
છે. ભારતના વાણિજ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે
પાકિસ્તાન સાથે ભારતનો વેપાર કુલ વેપારના 0.06 ટકા કરતા પણ ઓછો છે. પાકિસ્તાન ઉપર આપણે
કોઇ વસ્તુ માટે આધારિત હોઇએ એવી સ્થિતિ જ નથી.
2019ના પુલવામા હુમલા બાદ ભારતે
અગાઉ પાકિસ્તાની માલ પર 200% ટેરિફ લાદ્યો હતો, જેના કારણે અગાઉથી જ વેપાર સાંકળ તૂટી
છે. થોડી ઝાઝી અંજીર, તુલસી અને રોઝમેરી જેવી વનસ્પતિઓ અને સિંધાલૂણ જેવી આયાત થતી
હતી તે પણ બંધ થઇ છે. સિંધાલૂણની અછતથી થોડો ભાવ વધી શકે પણ એ નગણ્ય જેવો હશે.
અગાઉ આપણી કપાસની ગાંસડી પાકિસ્તાનમાં
જતી હતી. જોકે એ પણ પાંચેક વર્ષથી પાકિસ્તાનના પ્રતિબંધને લીધે બંધ છે. જોકે હવે ભારત
પણ આયાત નિકાસ કરવા ઇચ્છતો નથી. ભારતને અણીભાર નુક્સાન નથી, નુક્સાન પાડોશી દેશને છે.