અમદાવાદ,
તા. 18: હવામાન વિભાગે આગામી 19થી 24 જૂન સુધી રાજ્યમાં ભારે પવન સાથે હળવો અને મધ્યમ
વરસાદની આગાહી કરી છે. 24 જૂને રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા માટે સૂચના
અપાઈ છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું
ઓરેન્જ એલર્ટ હોવાથી ભારે પવન સાથે વરસાદ થઈ
શકે છે. જેમાં ખાસ કરીને ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર
હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો, પોરબંદર,
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને બોટાદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ
અપાયું છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં જોઈએ તો, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતમાં
દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી
છે. આ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.