• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

સુરતમાં ફરી એક સામુહિક આપઘાત : શિક્ષક પિતાએ બે દીકરા સાથે જિંદગી ટૂંકાવી

-પિતાએ બે માસુમ પુત્રોને ઝેરી દવા આપી પોતે ગળાફાંસો ખાઈ મૃત્યુને વહાલુ કર્યું : પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ અકબંધ

 

સુરત, તા. 31: શહેરમાં આજે ફરી એક વખત સામુહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી હતી. ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ સોલંકીએ પોતાના બે માસુમ પુત્રોને ઝેરી દવા આપી પોતે ગળાફાંસો ખાઈ મૃત્યુને વહાલું કર્યું હતું.

 સુરતના જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક શિક્ષકે બે બાળક સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક પુત્રની ઉંમર 2 વર્ષ અને બીજા પુત્રની ઉંમર 4 વર્ષની છે. હાલ તો આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે એફએસએલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પહેલા બાળકોને ઉંદર મારવાની દવા પીવડાવામાં આવી હશે અને ત્યાર બાદ શિક્ષકે પંખે લટકી આપઘાત કર્યો હોઈ શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અલ્પેશભાઈ મૂળ સાબરકાંઠાના વતની અને હાલ સુરતમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અલ્પેશભાઈ ડિંડોલીની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પત્ની ફાલ્ગુનીબેન સોલંકી જિલ્લા પંચાયતમાં ક્લાર્કની નોકરી કરતા હોવાથી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા હતા. દરમિયાન ફાલ્ગુનીબેન નોકરી પર હતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈએ બે પુત્ર ક્રીશીવ (ઉં.4) અને કર્નિશ (ઉં.2) સાથે ઘરે હાજર હતા તે તે વેળાએ આપઘાત કરી લીધો છે. બન્ને બાળકોના મૃતદેહ બેડ પર અને પિતાનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો.

આજે અલ્પેશભાઈ તેમના બન્ને બાળક સાથે ઘરે હાજર હતા. તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી તેમની પત્નીએ ઘરે આવીને જોયું તો દરવાજો ખોલતા ન હતા. જેથી તેમણે પરિવારના સભ્યોને ફોન કરી જાણ કરી હતી. પરિવારના લોકોની મદદથી દરવાજો તોડી જોયું તો બે બાળકો બેડ પર મૃત પડયા હતા અને અલ્પેશભાઈ પંખા સાથે લટકતી હાતલમાં મળ્યા હતા. ત્રણેયના મૃત્યુ થઈ ગયા હતા. હાલ એફએસ એલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘરમાંથી ઉંદર મારવાની દવાની ખાલી બોટલ મળી આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક