પોરબંદર, તા.9 : ઓખાની એક ફાશિંગ બોટનું તા.6ના બપોરે બે વાગ્યે પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી અપહરણ કરીને આઠ ખલાસીઓને બંદીવાન બનાવ્યા છે. જેના નામ અને વિગતો જાહેર થઈ છે.
માઢવાડ બંદર ખાતે રહેતા વિષ્ણુ
નાનજીભાઈ રાઠોડે જાહેર કર્યું છે કે, તેના ભાઈ જેન્તીભાઈ નાનજીભાઈ રાઠોડની માલિકીની
‘નલ નારાયણ’ નામની ફાશિંગ બોટ ઓખાના બંદર ખાતેથી ઓપરેટ થાય છે. આ ફાશિંગ બોટ તા.25/10ના
એક ટંડેલ અને સાત ખલાસી સહિત 8 માછીમારો સાથે દરિયામાં માછીમારી કરવા નીકળી હતી. તા.6/11ના
જખૌ નજીક માછીમારી કરી રહી હતી તે સમયે બપોરે બે વાગ્યે નો ફાશિંગ ઝોન નજીકના વિસ્તારમાંથી
પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી અપહરણ કરીને લઈ ગઈ હતી. તેમાં રહેલા આઠ ખલાસીઓને
પણ ઉઠાવી જવાયા છે, અન્ય બોટના ખલાસીઓ દ્વારા બોટ અપહરણ થયાની માલિકને જાણ કરવામાં
આવી હતી.
અપહરણ થયેલા ખલાસિઓમાં વણાકબારાના
ચાંદવાડીમાં રહેતા મિતેશ રામજી(ઉં.32), જૂનાગઢ જિલ્લાના વરાસિંગપુરમાં રહેતા મોહન રાણાભાઇ
બામણિયા (ઉં.45), દીવના સાઉદવાડીમાં રહેતા કરણ પ્રેમજી બામણિયા (ઉં.21), મહારાષ્ટ્રના
થાણેમાં રહેતા નામદેવ બાલકૃષ્ણ મેહેર (ઉં.62), વણાકબારાના શામજી વરજાંગ (ઉં.56), જૂનાગઢના
વેલણ ગામના માઢવાડ ખાતે રહેતા નિલેશ રમેશ પાંજરી (ઉં.22), સૂત્રાપાડાના તરુણ સીદીભાઈ
બારૈયા (ઉં.21) અને વણાકબારાના ભરત દિલીપભાઈ સિકોતરિયા (ઉં.26)નો સમાવેશ થાય છે. આ
તમામ ખલાસીઓની વિગત બોટ માલિક દ્વારા ઓખા તથા વેરાવળના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક
ઉપરાંત ઓખા મરીન પોલીસ સ્ટેશન અને ઓખાની કોસ્ટ ગાર્ડ કચેરીના કમાન્ડિંગ ઓફિસરને મોકલવામાં
આવી છે.