ધોરાજી પાલિકાએ પાઠવી નોટિસ : જાહેર માર્ગ પર રેડિયો માઇક ફેરવી જનતાને સાવચેત રહેવા સૂચના અપાઈ
ધોરાજી, તા. 10 : ધોરાજી પંથકમાં
ભૂકંપનાં પગલે જૂની જર્જરિત ઇમારતો મકાન માલિકોએ જાતે તોડી પાડવા માટે પાલિકા દ્વારા
નોટિસો આપવામાં આવી છે.
ધોરાજી વિસ્તારમાં તાજેતરમાં
બે દિવસ દરમિયાન 10થી વધારે ભૂકંપના ઝટકા અનુભવાતા ધોરાજી નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ
પર રેડિયો માઇક ફેરવી ધોરાજી શહેરની જૂની અને જર્જરિત ઇમારતોથી દૂર રહેવા તેમજ જૂની
અને જર્જરીત ઇમારતો જે જોખમી પ્રકારની હોય તેવી ઇમારતો મિલકત ધારકે જાતે તોડી પાડવા
માટે પણ સૂચના અપાઈ હતી. ધોરાજી શહેરમાં જૂની અને જોખમકારક ઈમારતો જણાતી હોવાને પગલે
જેને લઈ આવી ઇમારતો તોડી પાડવા માટે મકાન માલિકોને પાલિકા દ્વારા પણ નોટિસ પાઠવવામાં
આવી હતી.
જોકે ધોરાજી નગરપાલિકા દ્વારા અગાઉ પણ જર્જરિત અને
જોખમી ઇમારતો મકાન માલિક દ્વારા જ તોડી પાડવા માટે અંગેની સૂચનાઓ આપી હતી પરંતુ નગરપાલિકાની
સૂચના કે નોટિસની જાણે કોઈ દરકાર ન હોય તેમ હાલમાં પણ જૂની અને જોખમી ઇમારતો જેમની
તેમજ હાલતમાં પડી છે મિલકત ધારકોને પોતાની જર્જરિત ઈમારત તોડવામાં રસ ન હોય અથવા તો
ધોરાજી નગરપાલિકા પણ માત્ર સૂચના આપીને સંતોષ માની લેતી હોય તેવું જણાઈ રહ્યું છે.
ધોરાજીમાં અનેક વર્ષોથી ઘણા મકાનો
બંધ હાલતમાં છે અને મકાન માલિકો અન્ય શહેરોમાં રહેતા હોય છે. છાશવારે જર્જરિત ઇમારતોમાં
કાટમાળ પડી જવાના ઘણા બનાવો બને છે ત્યારે તંત્ર માત્ર નોટિસ મારીને સંતોષ માની લે
છે.
જ્યારે કુદરતી આફત વાવાઝોડું
કે કોઈપણ પ્રકારની આગાહી હોય તેવા સમયે પાલિકા તંત્રને જર્જરિત ઇમારતો તોડી પાડવા માટે
યાદ આવે છે આવી બિલ્ડિંગ માટે કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં
આવતી નથી.
બીજી તરફ લોકોમાં વિરોધાભાસી એવો પણ ગણગણાટ ચાલી
રહ્યો હતો કે જે જૂની ઇમારતોમાં વર્ષોથી ભાડુઆત રહેતા હોય તેવા જૂના ભાડુઆતો દ્વારા
મકાન ખાલી કરાતું ન હોવાથી ઘણી વખત મકાન ખાલી કરાવવાના બહાને મિલકત માલિકો દ્વારા નગરપાલિકાને
પોતાની જર્જરિત ઇમારત તોડી પાડવા માટે મંજૂરી મેળવતા હોય છે જેથી ભાડુઆતનો કબજો પણ
ખાલી થઈ જાય અને મકાન માલિકને પોતાની જમીન પર ફરીથી કબજો પણ મળી જાય.