બીજા યુવાનને લોકોએ બચાવી લઈ
પાણીમાંથી બહાર કાઢી લીધો
જામનગર,તા 13: જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રવિવારે મેળો ભરાયો
હતો અને લોઠીયા ગામ તેમજ આસપાસના ગ્રામ્યજનો એકત્ર થયા હતા. જે પૈકીના કેટલાક યુવાનો
બપોરે લોઠીયા ગામ પાસેના તળાવમાં નહાવા માટે ગયા હતા. જે પૈકી બે યુવાનો પાણીમાં ડૂબી
જતા એકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક યુવાનનો બચાવ થયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ લોઠીયા
ગામે મેળો ભરાતા ત્યા આવેલા કેટલાક યુવાનો તળાવમાં ન્હાવા પડયા હતા. જેમાં બે યુવાનો
પાણીમાં ગરકાવ થવા લાગતા ત્યા હાજર લોકોએ એક યુવાનને બચાવી લઈ પાણીમાંથી બહાર ખેંચી
લીધો હતો. જ્યારે મહેશ કરસનભાઈ ડાભી નામનો 28 વર્ષનો યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો
હતો. જે બહાર નહીં નીકળતાં આખરે ફાયર શાખા જાણ કરાઈ હતી અને ભારે જહેમત બાદ તેનો મૃતદેહ
મળી આવ્યો હતો. જેને બહાર કાઢીને પોલીસને સોંપવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ
ધરી હતી.