• બુધવાર, 21 મે, 2025

બી.કોમ.ની પરીક્ષામાં મોબાઈલ લઈને ગયા હોવાની ત્રણ વિદ્યાર્થીની કબૂલાત

ત્રણેય વિદ્યાર્થી આગળની પરીક્ષા નહીં આપી શકે : ત્રણ જ વિદ્યાર્થી હતા કે માસ કોપીકેસ ? સૌરાષ્ટ્ર યુનિ.નું મૌન

રાજકોટ, તા. 22: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી બી કોમની પરીક્ષામાં અમરેલીની એમ ડી સીતાપરા કોલેજમાં પ્રશ્નપત્રો પહોંચે એની પંદર જ મિનિટમાં પ્રશ્નોના જવાબના ક્રીન શોટ મોબાઈલમાં વાયરલ થવા લાગતા હતા. આ ઘટનાની યુનિવર્સિટીને ગઈકાલે જાણ થતા સીતાપરા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું હતું. વધુ તપાસમાં આ ઘટનામાં ત્રણ વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં મોબાઈલ લઈને ગયા હોવાની કબુલાત આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સીવાયએસએસ છાત્ર સંગઠન દ્વારા બીકોમની પરીક્ષામાં બેફામ ગેરરીતિ થતી હોવાની વિગતો આપી હતી. જેના સંદર્ભે યુનિવર્સિટીએ તપાસ કરતા જે વોટ્સએપ ગ્રૃપમાંથી મેસેજ વાયરલ થયા હતા તેના નંબરોની તપાસ કરી વિદ્યાર્થીઓના નામ વગેરેનો ડેટા મેચ કર્યો હતો. જેમાંથી અમરેલીની એમ ડી સીતાપરા કોલેજના શરદ અને પાર્થ સહિત ત્રણ વિદ્યાર્થી સામે શંકાની સોય તકાતા તેમની પૂછપરછમાં તેમણે ગેરરીતિ કરી હોવાની કબુલાત આપી હતી. આ બાદ યુનિવર્સિટીએ આ ત્રણેય વિદ્યાર્થીઓ આગળના પેપર નહીં આપી શકે એવી સજા તાત્કાલીક ધોરણે આપી છે.

અલબત્ત, આ સમગ્ર મામલે હજુ તપાસ ચાલી રહી છે. જેમાં મોબાઈલમાંથી વાયરલ થયેલા જવાબો માત્ર આ ત્રણ વિદ્યાર્થી સુધી જ પહોંચ્યા હતા કે માસ કોપીકેસનો મામલો છે ? એ સવાલનો જવાબ હજુ મળ્યો નથી. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ આ મામલે મૌન સેવી લીધું હોય એવો ઘાટ જણાઈ રહ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક