કોંઢ અને કલ્યાણપુર ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો : બંન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી એક શખસની અટકાયત કરાઈ
ધ્રાંગધ્રા, તા.18 : તાલુકાના
કોંઢ ગામે ખેડૂત મોલ એગ્રો નામની દુકાનના ઉદ્ધાટન પ્રસંગમાં મારામારી તેમજ ફાયરીંગનો
બનાવ બન્યો હતો. જેમાં ધ્રાંગધ્રા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કનકસિંહ ભૂપતસિંહ ઝાલાનું
નિમંત્રણ કાર્ડમાં નામ ન હોવાના કારણે ફાયરીંગ કરવામાં આવ્યું હતુ. આ બનાવમાં કનકસિંહ
ઝાલાને તિક્ષ્ણ હથિયાર વાગતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા છે.
કોંઢ ગામે ભરતભાઈ રૂપાભાઈ કારડીપારા
રાજપૂત નામના વ્યક્તિએ ખેડૂત એગ્રો મોલ ખાતર, દવા, બિયારણની દુકાનનું ઉદ્ધાટન રાખ્યું
હતું. જેની નિમંત્રણ પત્રિકામાં પોતાનું નામ હોવાથી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ કનકસિંહ
ઝાલા રોષે ભરાયા હતા અને બંદુક લઈ દુકાન ઉપર આવતા બોલાચાલી થઈ હતી. જેથી બે જુથ કારડીયા
રાજપૂત અને ક્ષત્રિય સમાજના લોકો સામસામા આવી જતા મામલો મારામારીમાં પલટાયો હતો અને
કનકસિંહ ઝાલાએ ફાયરીંગ કરી દીધુ હતુ. બીજી તરફ કનકસિંહ ઝાલાને તિક્ષ્ણ હથિયાર વાગતા
સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. આ અંગે બંન્ને પક્ષોએ તાલુકા પોલીસમાં સામસામી
ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી નારસંગભાઈ રૂપાભાઈ પઢીયારની અટક કરાઈ છે. બંન્ને પક્ષની
સામસામી ફરિયાદો હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા ફાયરીંગ અને
મારામારીના બનાવમાં બે જૂથ વચ્ચે અથડામણ ન સર્જાય તે માટે પોલીસ, એલસીબી, એસઓજીની ટીમે
દોડી આવી તપાસ હાથ ધરી છે તેમજ કોંઢ અને કલ્યાણપુર ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં
આવ્યા છે.