• રવિવાર, 13 જુલાઈ, 2025

ભાવનગરના વેપારીએ બીટકોઈનમાં રોકાણથી નફાની લાલચે એક કરોડ ગુમાવ્યા

ટેલિગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક કરી 1.08 કરોડ પડાવી લીધા

ભાવનગર તા.19:  ભાવનગરના યુવાન સાથે ટેલીગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક કરી બીટકોઇનમાં રોકાણ કરવાથી તગડો નફો થશે તેવી લાલચ આપી અલગ અલગ બેંક ખાતામાં રૂ.1.08 કરોડ ટ્રાન્સફર કરાવી લઇ છેતરાપિંડી કરવામાં આવતા યુવાને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર વર્ષા સોસાયટીમાં રહેતા અને લોજિસ્ટિકનો વેપાર કરતા દિપેશભાઈ લાલજીભાઈ સોલંકી ગત તા.14 ડિસેમ્બર, 2024ના રોજ ધંધાના કામે ભૂતેશ્વર જતા હતા. ત્યારે તેમના ટેલીગ્રામ એપ પર પ્રિયા અગ્રવાલ નામથી આવેલાં મેસેજમાં બીટકોઇનમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી વિગત અને લિંક આપવામાં આવી હતી. આ અંગે દિપેશભાઈએ તેમના મિત્ર આદિલભાઈ સાથે વાત કર્યા બાદ બંનેએ ભાગીદારીમાં રોકાણ કરવાનું નક્કી કરી આદિલભાઈના નામથી લિંકમાં ખાતું ખોલાવી રૂ.બે લાખનું રોકાણ કર્યું હતું. જમા નફામાંથી 50 યુએસ ડોલરને ઉપાડ પણ કરવા દીધો હતો. જો કે, રોકાણ સામે નફો મળતા તેમણે પ્રિયા અગ્રવાલ અને કસ્ટમર

હેલ્પ નંબરના કહેવાથી અલગ અલગ સમયે ક્રમશ રૂા.1,08,94,746નું રોકાણ કર્યું હતું. રોકાણ કર્યા બાદ જમા બતાવતી નફાની રકમ ઉપાડવા માટે રિકવેસ્ટ કરવામાં આવતા મની લોન્ડરીંગ સહિતની બાબતો આગળ કરી રકમ ઉપાડવા દીધી ન હતી. તેમજ રકમ મેળવવા માટે કેપિટલ ગેઇન ટેક્સ, રેગ્યુલેટરી માર્જિન, પેનલ્ટી સહિતના નામે અલગ-અલગ બેંક ખાતામાં રૂા.1,08,94,746  ટ્રાન્સફર કરાવી લીધા હતા. જો કે બાદમાં નફો અને રોકાણ પરત ન મળતાં દિપેશભાઈને રૂા.1,08,94,746ની છેતરાપિંડી અને વિશ્વાસઘાત થયાનું જણાયું હતું. તેમણે આ અંગે ભાવનગર સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ છેતરાપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક