• મંગળવાર, 12 મે, 2026

સુરતના ભાઠા ગામે જનરેટરના ધુમાડામાં ગુંગળામણથી એક જ પરિવારના 3 સભ્યના મૃત્યુ પત્નીના મૃત્યુ બાદ મહીનો ફેરવવા સાળી વૃદ્ધ બનેવીને લેવા આવી હતી

સુરત, તા.11: સુરતના પાલ રોડ ભાઠા ગામ ખાતે આવેલા મકાનમાં જનરેટર ચાલુ રહી જતા ગુંગળામણથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટના અંગે જાણ થતા પોલીસે સ્થળ તપાસ કરી મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી.

સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર ભાઠા ગામમાં રહેતા બાલુભાઈ પટેલ (ઉ.77), સીતાબેન પટેલ (ઉ.56) અને વેદાબેન પટેલ (ઉ.60) ગત રાત્રિના રૂમમાં સુઈ ગયા હતા. જે રૂમમાં સુતા હતા ત્યાંનું જનરેટર ચાલુ રહી ગયું હતું. જેને પગલે ધુમાડો રૂમમાં ફેલાય ગયો હતો. ધુમાડાને લીધે ગુંગળામણ થતા ત્રણેય ઉંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થવાની અરેરાટીપુર્ણ ઘટનાની જાણ સવારે સ્થાનિકોને થતા તેમણે પોલીસને જાણ કરી હતી.

દરમિયાન પાલ પોલીસનો સ્ટાફ પહોંચી ગયો હતો અને મૃતદેહને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલે રવાના કર્યા હતા. પોલીસે મૃતકોના પરિવારજનો અને સ્થાનિકોના નિવેદનો લીધા હતા. ગુરૂવારે (જુઓ પાનું 10)

કોસંબાથી સીતાબેન અને વેદાબેન બંને મહિલા બાલુભાઈ પટેલને લેવા સુરત આવી હતી. બાલુભાઈ ઘણા સમયથી ખેતરમાં રહી ચોકીદારીનું કામ કરતા હતા. તેમની પત્નીનું દોઢ મહિના પહેલા અવસાન થયું હોવાથી તે એકલા જ રહેતા હતા. રીવાજ પ્રમાણે પત્નીના મરણ બાદ મહીનો ફેરવવા બાલુભાઈને લેવા તેમની સાળી વેદાબેન અને કૌટુંબિક સંબંધી સીતાબેન આવ્યા હતા.

મૃતકના પુત્ર સુનીલ પટેલે જણાવ્યું હતું કે સવારે હું ઊઠયો ત્યારે બારણું ખોલ્યું અને આ લોકોને ઉઠાડયા, પણ તેઓ ઊઠયા નહીં.

 

ઇ-પેપરના નવા શુલ્ક