બે મહિનામાં બંને સંતાનોએ રોકડ અને દાગીનાની ચોરી કરી મિત્રને આપી દીધાની કબૂલાત : જેતપુર પોલીસે તપાસ હાથ ધરી
જેતપુર,
તા.5: જેતપુર શહેરના બાપુની વાડી વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ પોતાના જ સગીર પુત્ર-પુત્રી
અને તેમના એક મિત્ર વિરૂધ્ધ ઘરમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ
નોંધાવી છે. જેતપુર સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેતપુરના બાપુની
વાડીમાં અભિષેક સ્કૂલ પાસે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા વસંતભાઇ ઉર્ફે મુનાભાઇ
પ્રભુદાસભાઇ ગોંડલીયા (ઉ.વ.47) એ પોતાના સગીર પુત્ર, 21 વર્ષીય પુત્રી ઋત્વી અને તેમના
મિત્ર કેતન ઉર્ફે અજય ધીરૂભાઇ ભાવડીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં
જણાવ્યા મુજબ વસંતભાઇના પિતાની તબીયત છેલ્લા દોઢેક માસથી નાદુરસ્ત રહેતી હોવાથી તેમના
પિતાએ પોતાનું મકાન વસંતભાઇના નામે કરી આપવાની ઇચ્છા વ્યકત કરી હતી. આ માટે શુક્રવારે
બપોરે વસંતભાઇ મકાનના દસ્તાવેજો શોધવા માટે તેમના પિતાના લોખંડના કબાટમાં તલાસી લઇ
રહ્યા હતા. તેમાં એક પિત્તળના ડબરામાં રાખેલા આશરે રૂ.1,60,250/-ની કિંમતના સોના-ચાંદીના
દાગીના જોવા ન મળતા તેની જાણ તેમણે તેની પત્નીને કરી અને તેઓ વકીલની
ઓફિસે કામ માટે ગયા હતા. તે દરમિયાન તેમના ભત્રીજાનો ફોન આવ્યો અને તેમની પત્નીએ વાત
કરતા જણાવ્યું કે પોતાના રૂમના કબાટની તિજોરીમાંથી પણ દાગીના મળતા નથી. આ સાંભળી વસંતભાઇ
તરત ઘરે આવી તપાસ કરતા કબાટમાં ઘરેણાંના ખાલી બોકસ જ મળ્યા હતા. આ કબાટમાંથી આશરે રૂ.
6,60,000/-ની કિંમતના સોનાના દાગીના ગાયબ હતા. તપાસ કરતા ઘરમાંથી કુલ રૂ.8,20,250/-ની
કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થયાનું સામે આવતા વસંતભાઇ અને પત્નીએ તેમના સંતાનોની
પૂછપરછ કરતા તેમના સગીર પુત્ર અને પુત્રી ઋત્વી ભાંગી પડયા હતા અને તેમણે કબૂલાત કરી
હતી કે તેઓએ છેલ્લા બે મહિના દરમિયાન કટકે-કટકે ઘરમાંથી આ દાગીનાની ચોરી કરી હતી અને
તેમના મિત્ર કેતન ઉર્ફે અજય ભાવડીયાને આપ્યા હોવાનું જણાવતા વસંતભાઇએ જેતપુર સીટી પોલીસમાં
ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ
ધરી
છે.