જામનગર, તા.13: જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને બ્રાસપાર્ટનો વેપાર કરતા કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવત નામના વેપારીએ જામનગરના સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ કરી જણાવ્યું છે કે, પોતાને વોટસએપ કોલ મારફતે કોન્ટેકટ કરી ટ્રેડીંગ એડવાઈઝર તરીકેની ઓળખ આપીને અલગ અલગ કંપનીની સ્કીમમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી તેની પાસેથી કટકે કટકે રૂા.1,87,44,407 જેવી માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા બાદ રકમ કે વળતર પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનું જાહેર કર્યું છે.
ફરિયાદી
વેપારીને જાન્યુઆરી માસમાં વોટસએપમાં એક મેસેજ આવ્યો હતો અને એ કંપનીને પ્રોફાઈલમાં
મુકવામાં આવી હતી. જેમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી અલગ અલગ મેમ્બરશીપની સ્કીમમાં
નાણાનું રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળે છે, તેવી લાલચ આપીને કટકે કટકે રોકાણ શરૂ કરાવ્યું
હતું અને મેમ્બર બનાવ્યા હતા. ત્યાર બાદ વોટસએપની પ્રોફાઈલમાં તેઓને મોટો પ્રોફીટ થઈ
રહ્યો છે, તેવું દર્શાવી વધુને વધુ રોકાણ કરાવ્યે રાખ્યું હતું. જેથી વેપારી દ્વારા
જામનગરની પોતાની બેંકના ખાતા મારફતે મહારાષ્ટ્રની એક બેંકના એકાઉન્ટમાં કુલ 1,87,44,407ની
રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યાર બાદ જુલાઈ માસમાં એકાએક કંપની બંધ થઈ હતી અને આ મામલે
તપાસ કરતા પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી
સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં તેઓની ફરિયાદના આધારે અજાણ્યા
શખસો સામે બીએનએસ 2023ની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તથા આઈટી એક્ટ કલમ 66(સી)
અને 66(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ પ્રકરણની તપાસનો ધમધમાટ શરૂ કરાયા બાદ
જામનગર પોલીસે તપાસનો દોર મધ્યપ્રદેશ, હૈદરાબાદ અને મુંબઈ તરફ લંબાવ્યો છે. દરમિયાન
એક શખસને અટકાયતમાં લઈને તેની ઘનિષ્ઠ પુછપરછ ચલાવવામાં આવી રહી છે.