ભાવનગર, તા.9: ભાવનગરની સિહોર જીઆઈડીસી-1માં આવેલી રોલિંગ મીલના મેનેજરે અને પોતાના અન્ય સાથીદારો સાથે મળી દોઢ વર્ષના સમયગાળામાં રોલિંગ મીલમાંથી બારોબાર 350 ટન લોખંડ વેચી દઈ છેતરપિંડી કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના
સિહોર જીઆઈડીસી-1માં આવેલી નવભારત સ્ટીલ રી-રોલિંગ મીલમાં મેનેજર તરીકે નોકરી કરતા
મુળરાજસિંહ હરીચંદ્રસિંહ ગોહીલ (રહે.ટોડા ગામ, તા.સિહોર)એ સિહોર પોલીસ મથકમાં અમોલભાઈ
ગીરીશભાઈ ગુજરાતી (રહે.કાળિયાબીડ), ભાવેશ ચૌહાણ, યોગેશ પરમાર, મેહુલ પંડયા (ત્રણેય
રહે.ભાવનગર) અને વિશાલ સાટીયા (રહે.કરદેજ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી
અમોલભાઈ તેમની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય જેઓની પાસે ઉત્પાદન અને વેચાણની
જવાબદારી હતી.
જ્યારે ભાવેશભાઈ, યોગેશભાઈ અને
મેહુલભાઈ તેમની કંપનીમાંથી દલાલી પર લોખંડના વેચાણ કરાવતા અને વિશાલભાઈ સાટીયાના ટ્રાન્સપોર્ટમાંથી
લોખંડ ભરવા માટે ગાડી મોકલતા હતા. પાંચેય લોકોએ મળીને દોઢ વર્ષના સમયગાળામાં બીલમાં
લોખંડ ઓછું બતાવી અને ટ્રકમાં વધારે ભરી દોઢ વર્ષમાં કંપનીમાંથી આશરે રૂા. બે કરોડનું
350 ટન લોખંડ બારોબાર વેચી નાખ્યું હતું. સમગ્ર હકીકત બહાર આવતા મેહુલભાઈએ તેમના ભાગમાં
આવેલા રૂા.35 લાખ જમા કરી દીધા હતા પરંતુ મેનેજર સહીત બાકીના ચારેયે અવારનવાર ઉઘરાણી
છતાં તેમના ભાગની પુરી રકમ નહીં આપી રૂા.1.53 કરોડની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો
હતો. બનાવ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.