• સોમવાર, 18 મે, 2026

ચોટીલાના ડુંગરને કોતરી ખાનારા ખનીજ માફિયાઓ પર ત્રાટક્યું તંત્ર

રૂ.1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત : નાયબ કલેક્ટરની મધરાત્રે સર્જિકલ સ્ટ્રાઇક : નામચીન ભૂમાફિયા સામે લેન્ડ ગ્રાબિંગ એક્ટ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ 

ચોટીલા, તા.5 : ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરોની આસપાસની પર્વતમાં ગેરકાયદે ખનન કરતા ખનીજ માફિયાઓ સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મધરાત્રે કાંધાસર અને સાંગાણી વચ્ચેના વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડીને ખનીજ ચોરીનું મસમોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે.

ખનીજ માફિયા લાંબા સમયથી પોલીસ અને તંત્રને હાથતાળી આપી નાસી જવામાં સફળ રહેનાર નાના પાળીયાદનો નામચીન ખનીજ માફિયા લાલા ભીમાભાઈ જોગરાણા આખરે કાયદાના સકંજામાં આવ્યો છે. મળતિયાઓને ટેલીફોનિક વાતચીતમાં પોતાનું નામ ન બોલવા અને ભાગી છૂટવા તેમજ તેઓના ઉપર ગુનો લઈ લેવા માટે સમજાવટ કરતા હોવાના પુરાવાઓ મળી આવ્યા  છે. આરોપી દ્વારા ચામુંડા ડુંગરોમાં તાસનું ગેરકાયદે ખનન કરી કુદરતી સંપદાને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું.

દરોડા દરમિયાન તંત્ર દ્વારા  દોઢ કરોડનો મુદ્દામાલ જેમાં એક ડમ્પર, એક હિટાચી એક્સકેવેટર મશીન, એક એક્સકેવેટર લઈ જવાનું કેરિયર જપ્ત કરી  મામલતદાર કચેરી ખાતે ખસેડ્યો છે તેમજ વાહન માલિક લાલા ભીમાભાઈ જોગરાણા ઉર્ફે લાલા સામે માત્ર ખનીજ ચોરી જ નહીં પરંતુ સરકારી જમીન પચાવી પાડવા બદલ લેન્ડ ગ્રાબિંગ એક્ટ અને તડીપાર સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી સામે ગુનો નોંધીને દાખલારૂપ પગલાં ભરવાની તૈયારી ચાલી રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક