(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 16: ગાંધીનગર કોર્ટે સુરત યૌન શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી હતી અને અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. આ કોર્ટના ચુકાદાને પડકારવા આસારામે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે હાઈકોર્ટમાં સજા પર રોક લગાવવા માટે અરજી કરી છે. આ મામલે આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી થશે.
આ આગાઉ ગાંધીનગર સેશન્સ કોર્ટે સુરત યૌન શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી હતી. આ મામલે કોર્ટ તમામ મુદ્દાઓનું અવલોકન કર્યું હતું. ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા પીડિતાને 50 હજાર રૂપિયાની આર્થિક વળતર આપવા સૂચન કર્યું હતું.
વર્ષ 2013માં સપ્ટેમ્બર માસમાં આસારામ વિરુદ્ધ સુરત ખાતે યૌન શોષણનો કેસ થયો હતો. સુરત પોલીસે બનાવ જે વિસ્તારમાં બન્યો હતો તે પોલિસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કર્યો હતો. અમદાવાદના ચાંદખેડા પોલીસમાં કેસ ટ્રાન્સફર થયો હતો.
આ કેસની વિગત જોઇએ તો વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. તારીખ 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો.