નીચલી
કોર્ટનાં ચુકાદાને પલટાવતો હાઈકોર્ટનો આદેશ સર્વોચ્ચ અદાલતમાં ખારિજ
નવી
દિલ્હી, તા.22: ગુજરાતમાં ગોધરાકાંડ પછીનાં રમખાણોનાં એક કેસનાં છ આરોપીને સુપ્રીમ
કોર્ટે આજે નિર્દોષ જાહેર કરી દીધા હતાં. સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ફેંસલો આપતા કહ્યું
હતું કે, કોઈપણ ઘટનામાં માત્ર સ્થળ ઉપર હાજર હોવું કે ધરપકડ થવી એ ગુનેગાર ટોળાનો હિસ્સો
હોવાનું સાબિત કરવા માટે પર્યાપ્ત નથી.
જસ્ટિસ
પી.એસ.નરસિંહા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2016માં આપવામાં
આવેલો ચુકાદો ઉથલાવી ખારિજ કરી નાખવામાં આવ્યો છે. હાઈકોર્ટે 2002નાં કોમી રમખાણોનાં
કેસમાં છ આરોપીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો પલટાવી નાખવામાં આવ્યો હતો.
સુપ્રીમની
પીઠે કહ્યું હતું કે, માત્ર સ્થળ ઉપર હાજર હોવાથી કે ધરપકડ થવાથી એ છ લોકો એક હજાર
લોકોનાં ટોળાનો હિસ્સો હોવાનું સાબિત થઈ જતું નથી. આ મામલામાં ધીરુભાઈ ભાઈલાલભાઈ ચૌહાણ
અને અન્ય પાંચ લોકોને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તા. 28 ફેબ્રુઆરી
2003નાં રોજ વડોદ ગામમાં એક કબ્રસ્તાન અને એક મસ્જિદને ઘેરીને કરવામાં આવેલા તોફાનનાં
કેસમાં ઘટનાસ્થળેથી આ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. નીચલી કોર્ટે આનાં તમામ
19 આરોપીને નિર્દોષ જાહેર કરેલા પણ હાઈકોર્ટે આમાંથી છને દોષિત ઠરાવ્યા હતાં. એક આરોપીનું
કેસની કાર્યવાહી દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અપીલકર્તા સહિત 7 લોકોનાં નામ એફઆઈઆરમાં
નામજદ થયા હતાં. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો ફેંસલ બહાલ કરતા હાઈકોર્ટનો આદેશ ખારિજ
કરી દીધો છે.