સતનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાની સ્પષ્ટ વાત: આખું ભારત એક ઘર
નવી દિલ્હી, તા.5 : રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ને ભારતના
ઘરનો એક ઓરડો ગણાવ્યો હતો કે જેના પર અન્ય લોકોનો કબજો છે. તેમણે કહ્યું કે તે ઓરડો
ભારતનો ભાગ છે અને તેને પાછો લેવો જ પડશે. ભાગવત સતનામાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા
હતા, જ્યાં તેમના આ નિવેદનને ઉપસ્થિતોએ તાળીઓની ગુંજથી વધાવી લીધું હતું.
ભાગવતનું આ નિવેદન એવા સમયે આવ્યું
છે કે જ્યારે પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં લોકોએ પાકિસ્તાની શાસન સામે મોરચો
ખોલ્યો છે. છેલ્લા થોડા દિવસથી ત્યાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો અવામી એક્શન કમિટી
(એએસી)ના નેજા હેઠળ રસ્તા પર ઊતરીને સરકારની સામે થયા છે.
ભાગવતે જણાવ્યું કે ઘણા સિંધી
ભાઈઓ અહીં બેઠા છે. હું ખુશ છું કે તેઓ પાકિસ્તાન ગયા ન હતા. તેઓ અવિભાજિત ભારતના હતા.
પરિસ્થિતિએ આપણને આ ઘરમાં મોકલી દીધા છે. પરંતુ તે ઘર અને આ ઘર અલગ નથી. આખું ભારત
એક ઘર છે. બસ, આપણા ઘરનો એક ઓરડો કોઈએ કબજામાં લઈ લીધો છે. ત્યાં મારી ટેબલ, ખુરશી
અને કપડાં રાખેલાં હતાં. હવે સમય આવશે જ્યારે આપણે તે ઓરડો પાછો મેળવશું. ભાષા વિવાદ
પર, સંઘ વડાએ કહ્યું, ઘણી ભાષાઓ છે, પરંતુ અર્થ એક જ છે. ઘણી ભાષાઓ મૂળ ભાષામાંથી વિકસિત
થઈ છે. બધી ભાષાઓ ભારતની રાષ્ટ્રીય ભાષાઓ છે. દરેક નાગરિકને ઓછામાં ઓછી ત્રણ ભાષાઓ
જાણવી જોઈએ. તેમણે તેમના ઘર, રાજ્ય અને રાષ્ટ્રની ભાષાઓ જાણવી જોઈએ.
ભાગવતે રાષ્ટ્રના ‘સ્વ’ને જાગૃત
કરવાનું આહ્વાન કરતાં જણાવ્યું કે દરેક વ્યક્તિએ તેની શરૂઆત પોતાના ઘરોથી શરૂ કરવી
જોઈએ. તેમણે કહ્યું, આપણા ઘરની મર્યાદામાં આપણી ભાષા, ભૂષા, ભજન, ભવન, ભ્રમણ અને ભોજન
આપણી પરંપરાઓ અનુસાર જ હોવા જોઈએ.