દિલ્હી વિસ્ફોટ અંગે ભાવુક થયા વડાપ્રધાન, ભૂટાન નરેશ દુ:ખમાં સહભાગી થયા
થિમ્પુ,
તા.11 : દિલ્હીમાં ધડાકા વચ્ચે વડાપ્રધાન મોદી ભૂટાનની બે દિવસની યાત્રાએ પહોંચ્યા
છે અહીં તેમણે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પર દુ:ખ વ્યક્ત કર્યું
અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. 11 વર્ષમાં તેમની ભૂટાનની ચોથી
મુલાકાત છે. જેનો હેતુ ભારત અને ભૂટાન વચ્ચે મિત્રતા અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો
છે.
ભૂટાનમાં
એક કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હું આજે ભારે હૃદયથી અહીં આવ્યો છું.
દિલ્હીમાં ગઈકાલે સાંજે બનેલી ભયાનક ઘટનાથી દરેક વ્યક્તિ ખૂબ જ દુ:ખી છે. હું અસરગ્રસ્ત
પરિવારોનું દુ:ખ સમજું છું. આજે, આખો દેશ તેમની સાથે ઉભો છે. હું ગઈ રાત સુધી આ ઘટનાની
તપાસ કરી રહેલી તમામ એજન્સીઓના સંપર્કમાં હતો. અમારી એજન્સીઓ આ ષડયંત્રના તળિયે પહોંચશે.
આ પાછળ જે કોઈ પણ કાવતરુ ઘડયું છે તેને બક્ષવામાં આવશે નહીં. જવાબદાર તમામને સજા કરવામાં
આવશે.
દરમિયાન રાજધાની થિમ્પુમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં
હાજર હજારો લોકોએ દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ માટે
પ્રાર્થના કરી હતી. ભૂટાનના રાજાએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે આ મુશ્કેલ સમયમાં
અમે ભારતની સાથે ઉભા છીએ અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. વધુમાં
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભવિષ્યમાં ભારત મુલાકાતીઓ અને રોકાણકારોની સુવિધા માટે ગેલેફુ
નજીક ઇમિગ્રેશન ચેકપોઇન્ટ સ્થાપિત કરશે. અમે ભૂટાન સાથે ઉપગ્રહ બનાવી રહ્યા છીએ. બન્ને
દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.