આરએસએસ વડાએ કહ્યું, ભારતીય ભાષાઓને મજબૂત કરવાની જરૂર
નવી
દિલ્હી, તા. 30 : ઘણા એવા પણ ભારતીય છે, જેમને પોતાની ભાષા જ નથી આવડતી તેવું માતૃભાષાઓના
ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં
એક પુસ્તક વિમોચન પ્રસંગે કહ્યું હતું અને ભારતીય ભાષાઓને શીખવાની અને મજબૂત કરવાની
તાતી જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
એક
મીડિયા હેવાલ મુજબ, ભાગવતે જણાવ્યું હતું કે, એક સમય હતો, જ્યારે રોજિંદા જીવનમાં લોકો
સંસ્કૃત ભાષા બોલતા હતા અને હવે અમેરિકાથી પ્રાધ્યાપક ભારતમાં સંસ્કૃત ભણાવે છે. આપણે
ભાષાકીય ચેતના માટે આત્મમંથન કરવાની જરૂર છે તેમ આરએસએસ ચીફે કહ્યું હતું.
આજે
દેશમાં મોટા ભાગના બાળકો પોતાની જ ભાષાના શબ્દો જાણતા નથી અને તેઓ અંગ્રેજીનું મિશ્રણ
કરી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં અંગ્રેજી ભાષાનો દોષ નથી, પણ ઓછામાં ઓછું પોતાની
ભાષાને જાણવી જોઈએ તેમ પણ મોહન ભાગવતે કહ્યું હતું.
આ સાથે
જ તેમણે ઉમેર્યું હતું કે, અંગ્રેજીના શબ્દો ભાષાની ઊંડાઈને પકડી શકતા નથી અને તેથી
જ વિચારોનું પ્રગટીકરણ નબળું પડે છે. જેમ કે, કલ્પવૃક્ષ માટે અંગ્રેજીમાં ઘણા શબ્દો
છે, પણ કોઈ તેનો સાચો અર્થ બતાવી શકતા નથી.