• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

વાયુ પ્રદૂષણ માટે માત્ર કિસાન જવાબદાર નહીં

દિલ્હી પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું, સરકાર એક્શન પ્લાન પર ફરી વિચારે

નવી દિલ્હી, તા.30 : રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી અને  એનસીઆરમાં વાયુ પ્રદૂષણના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓને ફટકાર લગાવી હતી અને વાયુ પ્રદૂષણ માટે માત્ર કિસાનોને જવાબદાર ઠેરવવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો.

અદાલતે એસ.સી. મેહતાની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે પરાળી બાળવાનું કાંઈ નવું નથી. ચાર-પાંચ વર્ષ પહેલાં કોવિડ અને લોકડાઉન દરમ્યાન પણ પરાળી તો સળગાવવામાં આવતી જ હતી છતાં આકાશ સ્વચ્છ અને વાદળી દેખાતું હતું, હવે એવું શા માટે નથી?

મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચે કહ્યું કે પરાળી સળગાવવાથી જોડાયેલી ચર્ચા રાજકીય કે અહંકારનો મુદ્દો બનવો જોઈએ નહીં. દિલ્હીની ઝેરીલી હવાના અનેક કારણ છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે વધતાં વાયુ પ્રદૂષણની પાછળ પરાળી ઉપરાંત અન્ય કારણોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ થવું જોઈએ. મામલાની વધુ સુનાવણી 10મી ડિસેમ્બરે થશે.

કોર્ટે સીએક્યૂએમ તરફથી રજૂ થયેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને વાયુ પ્રદૂષણ માટે પરાળી સિવાયના કારણો વિશે પૂછતાં તેમણે કોર્ટને કહ્યું કે પંજાબ, હરિયાણા અને સીપીસીબી સહિત તમામ એજન્સીનો કાર્યવાહી અહેવાલ ટૂંક સમયમાં રજૂ થશે.

પ્રદૂષણથી મુંબઇના શ્વાસ હાંફે છે

આર્થિક રાજધાનીની દિલ્હી જેવી દશા; અનેક ભાગોમાં ગ્રેપ-4: નિર્વાણ કાર્યો પર રોક, કાર્યવાહીની ચેતવણી

મુંબઇ, તા. 1 : વકરતાં પ્રદૂષણની પીડાથી દેશની આર્થિક રાજધાની મુંબઇને પણ શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી છે. સરકારે મહાનગરમાં અનેક સ્થળે ગ્રેપ-4નાં નિયંત્રણો મૂક્યાં છે. મુંબઇમાં મઝગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી (પૂર્વ), ચકાલા-અંધેરી (પૂર્વ), પવઇ, મુલુંડ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ઘણી ખરાબ થઇ છે.

બીએમસી દ્વારા આ બધા વિસ્તારોમાં કોઇ પણ પ્રકારનાં નિર્માણકાર્યો અને ધૂળ ઊડે તેવી તમામ ગતિવિધિ પર રોક મૂકી દેવાઇ હતી. 50થી વધુ સ્થળે નિર્માણ રોકવા નોટિસ અપાઇ હતી.

બીએમસીએ પ્રદૂષણ નિયંત્રણના ઉપાયો લાગુ કરવા માટે ખાસ ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત કરી દીધી હતી.

આ સ્ક્વોડ ટીમોમાં એન્જિનીયર્સ, પોલીસ જવાનો અને જીપીએસ-ટ્રેક વાહનો સામેલ છે.

બેકરી અને માર્બલ કાપતાં યુનિટ્સ સહિત ઉદ્યોગોને પ્રદૂષણરહિત પ્રક્રિયા નહીં અપનાવે તો કાર્યવાહીનો સામનો કરવાની ચેતવણી પ્રશાસન તરફથી આપી દેવાઇ હતી.

ધો. 10 અને 12 સિવાયની તમામ શાળાઓ બંધ કરવા સાથે જરૂર પડયે તમામ કર્મીઓને ઘેરથી કામ કરવાનો નિર્દેશ અપાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક