શર્મિલા ટાગોરના વકીલને કોર્ટનો ઠપકો, કાયદો છે જ, કોર્ટ હસ્તક્ષેપ કરે નહીં : સિંઘવી
નવી દિલ્હી, તા. 9 : દેશની સર્વોચ્ચ
અદાલતમાં શુક્રવારે સળંગ ત્રીજા દિવસે રખડતા શ્વાનો પર સુનાવણી થઇ હતી. આજે અભિનેત્રી
શર્મિલા ટાગોરના વકીલે કહ્યું હતું કે, દિલ્હી એઇમ્સમાં ગોલ્ડી નામે શ્વાન વર્ષોથી
છે, પરંતુ કદી કોઇને કરડયો નથી.
તમામ શ્વાન આક્રમક નથી હોતા,
તેવો તર્ક આપનાર વકીલને ફટકાર લગાવતાં સુપ્રીમે પૂછયું હતું કે, શું એ શ્વાનને ઓપરેશન
થિયેટરમાં પણ લઇ જવાય છે ?
રસ્તાઓ પર રહેતા શ્વાનોમાં કીડા-મંકોડા
હોય છે. હોસ્પિટલમાં આવા સંક્રમિત શ્વાનોનું હોવું ભયાનક સ્થિતિ સર્જી શકે છે, તેવું
કોર્ટે કહ્યું હતું.
શું આપને તેની સમજ છે ? આપ સચ્ચાઇથી
સાવ દૂર છો. હોસ્પિટલમાં આવા શ્વાનોને સારા દેખાડવા કે મહાન સાબિત કરવાની કોશિશ ન કરો,
તેવો ઠપકો અદાલતે આપ્યો હતો.
બીજી તરફ, ઓલ ક્રિચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ સંસ્થા વતી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, આ મામલામાં કાયદા પહેલાંથી મોજુદ છે જ. એટલે કોર્ટે હસ્તક્ષેપ કરવો ન જોઇએ. ‘અદાલતમિત્ર’ સારા તો હોય છે, પરંતુ તેઓ કાયદાના સલાહકાર હોય છે. કોઇ વિકાસના તજજ્ઞ નથી હોતા, તેવું સિંઘવીએ ઉમેર્યું હતું. અરવલ્લીના સંદર્ભ સાથે તેમણે કહ્યું હતું કે, એ મામલા માટેની સમિતિમાં મોટા ભાગે અધિકારી હતા. તજજ્ઞ નહીં એટલે જ ફેંસલા પર ફેરવિચાર કરવો પડયો.