નવીદિલ્હી, તા.17: વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) ઉપર ચીન અને અંકુશરેખા(એલઓસી) ઉપર પાકિસ્તાન સાથે તનાવ મધ્ય ભારતીય સેનાપ્રમુખ મનોજ પાંડેએ હુંકાર કર્યો છે કે, તેમની સેના યુદ્ધ માટે પણ પૂરી રીતે સજજ છે. કોઈપણ સ્થિતિમાં સજજડ જવાબ આપવામાં આવશે.
તેમણે કહ્યું છે કે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતીય સેના હવે પોતાને આધુનિક બનાવી રહી છે. આવનારા સમયમાં જો યુદ્ધ થાય તો કૃત્રિમ મેધા એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ પણ પાસા પલટાવનાર બની શકે છે.
સૈન્યવડાએ કહ્યું હતું કે, આપણે સેનાને આધુનિક અને અધિક ચુસ્ત બનાવવા માટે પરિવર્તન કરી રહ્યા છીએ. આ પ્રક્રિયા આપણને યુદ્ધ માટે તૈયાર રહેવા સક્ષમ બનાવે છે. આનાથી ભવિષ્યનાં તમામ પડકારોનો પ્રભાવી રીતે સામનો કરવામાં મદદ મળશે. એલએસી ઉપર ભારત અને ચીન વચ્ચેની તંગદિલી બારામાં મનોજ પાંડેએ કહ્યું હતું કે, સીમા ઉપર અત્યારે સ્થિતિ સ્થિર બનેલી છે. પ્રત્યેક ઘટનાક્રમ ઉપર ચાંપતી નજર છે.