• શનિવાર, 26 એપ્રિલ, 2025

જીયાણા ગામે દુષ્કર્મના ઈરાદે મહિલાની હત્યા

પતિને પણ ઈજા: ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ

રાજકોટ, તા.6: કુવાડવાના જીયાણા ગામની સીમમાં મધ્યરાત્રીએ પ્રૌઢ દંપત્તિ તેમની ઓરડીમાં સૂતું હતું. ત્યારે દુષ્કર્મના ઈરાદે આવેલા શખ્સે મહિલાની તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી છે. જ્યારે મહિલાના પતિને પણ ઈજા થઈ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખી હત્યારો મધ્યપ્રદેશના નાસી છૂટે તે પૂર્વે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુવાડવા ગામ પાસેથી ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો છે

જાણવા મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અગલગોટા ગામના વતની અને હાલ રાજકોટ તાલુકાના જીયાણા ગામની સીમમાં આવેલી મનસુખભાઈ નાથાભાઈ દોમડીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કરતા લખડીયા માંગલયા પછાયા નામના 60 વર્ષીય આધેડે અજાણ્યા શખ્સ વિરુદ્ધ શિક્ષણ હથિયાર વડે દંપત્તિ પર હુમલો કરી તેમની પત્નીની હત્યા નીપજાવ્યા અંગેની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં લખડીયા પછાયાએ જણાવ્યું છે કે અગાઉ તેના લગ્ન કુમલી સાથે થયા હતા. પરંતુ તેમના વતન ખાતે માધુ સેઇજાની હત્યા નીપજાવતા પોતે ઈન્દોર જેલમાં સજા કાપી રહ્યો હતો. આ અરસામાં તેની પત્નીએ બીજા લગ્ન કરી લીધા હતા. પોતે જેલમાંથી છૂટ્યા બાદ તેણે જમકુ ઉર્ફે રોમકી સાથે લગ્ન કરી પતિ પત્ની બંને જીયાણા ગામની સીમમાં રહેતા હતા.

 રાત્રીના પતિ પત્ની બંને જમીને પતરાવાળી ઓરડીમાં સુતા હતા ત્યારે દરવાજો તોડીને એક અજાણ્યો શખ્સ હાથમાં ધારિયા જેવુ તીક્ષણ હથિયાર ધારણ કરી ઘૂસી આવ્યો હતો અને તેણે આ ધારિયા વડે સૌ પ્રથમ તેના પર હુમલો કર્યો હતો તેથી તેણે પ્રતિકાર કરતા ધારિયુ બંને હાથમાં અને કાન પાસે તથા ડોક ઉપર લાગી જતા તેણે રાડા રાડી કરી મૂકી હતી પરંતુ કોઈ બચાવવા ના આવતા તે તેનો જીવ બચાવી ત્યાંથી ભાગવા લાગ્યો હતો.

બાજુમાં આવેલી એક વાડીમાં રહેલી મહિલાને શેઠને જાણ કરવાનું કહ્યું હતું અને તે અરસામાં મનસુખભાઈનો ભેટો થઈ જતા વાડી તરફ ગયા હતા. ત્યાં જઈ ઓરડીમાં જોતા લખડીયા માંગલીયાની પત્ની લોહી લુહાણ હાલતમાં પડી હતી જેને 108ના સટાફે મૃત જાહેર કરી હતી.આ અંગે પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે જીયાણા ગામમાં જ ખેતી કામ કરતા મધ્યપ્રદેશના કિશન તેરાસિંહ મેળા નામના શખ્સને કુવાડવા પાસેથી ઉઠાવી લીધો હતો અને તેની પૂછપરછમાં કિશન મેળા મૃતક જમકુબેન સાથે શરીર સંબંધ બાંધવા હથિયાર સાથે મધરાત્રે ઓરડીમાં ઘૂસ્યો હતો પરંતુ પતિ જાગી જતા તેના પર હુમલો કરતા તે નાસી છૂટ્યા બાદ જમકુબેન ઉપર હુમલો કરતા તેનું મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક