પંજાબના બોલર્સ સામે કોલકતાના પાવર હિટર્સ પર લગામ મુકવાનો પડકાર
મુલ્લાનપુર,
તા.14: પાછલા મેચમાં સનરાઇઝર્સના ફટકાબાજ અભિષેક શર્માની વિસ્ફોટક 141 રનની ઇનિંગને
લીધે પોતાના મોટા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહેનાર પંજાબ કિંગ્સ મંગળવારના મેચમાં
કોલકતા નાઇટ રાઇડર્સની કઠિન ચુનૌતિનો સામનો કરશે. ટી-20 ફોર્મેટમાં એવું બહુ ઓછું જોવા
મળે છે કે આપે 24પ રનનો જંગી જુમલો નોંધાવ્યો હોય, છતાં અંતમાં હાર સહન કરવી પડી. પંજાબ
માટે આ કડવી હાર ભૂલવી મુશ્કેલ છે, અને તેના ભાર સાથે કેકેઆર સામે મેદાને પડશે અને
વિજયક્રમ પર વાપસીની કોશિશ કરશે. પંજાબ માટે સારી વાત એ છે કે તેને હોમ એડવાન્ટેજ મળશે.
મેચ મોહાલી નજીક મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. જેની પિચ બેટધરોને મદદગાર છે.
આ
મેદાન પર અત્યાર સુધીમાં આઇપીએલના બે મેચ રમાયા છે. જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમે
200થી વુધનો ટોટલ કર્યો છે. પંજાબ કિંગ્સના બોલરોનો આત્મવિશ્વાસ નિશ્ચિત રીતે ડગમગી
ગયો છે. વિશેષ કરીને બે સ્પિનર યજુર્વેન્દ્ર ચહલ અને ગ્લેન મેકસવેલના મનોબળ જરૂર પ્રભાવિત
થયા છે. બન્નેએ પાછલા મેચમાં 7 ઓવરમાં 96 રન લૂંટાવ્યા હતા. મેક્સવેલનું બેટ પણ ખામોશ
છે. તે સતત પાંચ ઈનિંગથી નિષ્ફળ છે. આથી કોચ રીકિ પોન્ટિંગ તેને બ્રેક આપી શકે છે.
ચહલ પ મેચમાં માત્ર 2 વિકેટ જ લઇ શક્યો છે. પંજાબ જો સપાટ વિકેટ તૈયાર કરાવશે તો તેના
બોલરો 220 આસપાસના સ્કોરનો બચાવ કરી શકશે નહીં તેની કોઇ ગેરંટી નથી. કારણ કે કોલકતા
ટીમ પાસે સુનિલ નારાયણ, ડિ’કોક, કપ્તાન રહાણે, વૈંકટેશ અય્યર, રિંકુ અને રસેલ જેવા
પાવર હિટર્સ છે.
પંજાબ
સામે કેકેઆરના બે મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી અને સુનિલ નારાયણ એકસ ફેકટર બની શકે
છે. કેકેઆરની મુખ્ય ચિંતા સ્ટાર ઓલરાઉન્ડર રસેલનું ખરાબ ફોર્મ છે. તે વર્તમાન સીઝનમાં
હજુ સુધી વિજય દેખાવ કરી શક્યો નથી.