પાક. ખેલાડી નદીમને આમંત્રણ પહલગામ આતંકી હુમલા અગાઉ અપાયું હતું
નવી
દિલ્હી તા.2પ: બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ભારતના દિગ્ગજ ભાલા ફેંક (જ્વેલિયન
થ્રો) ખેલાડી નિરજ ચોપરાએ પાકિસ્તાનના ભાલા ફેંક ખેલાડી અરશદ નદીમને કલાસિક ટૂર્નામેન્ટમાં
ભાગ લેવા માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે અરશદ નદીમ ભારત પ્રવાસે આવવાનો
નથી. તેણે એશિયન એથ્લેટિકસ મીટમાં ભાગ લેવાનો હવાલો આપીને ભારત પ્રવાસે આવવાનો ઇનકાર
કરી દીધો હતો.
અરશદને
ભારત પ્રવાસે આવવાના આમંત્રણ પછીથી નિરજ ચોપરા હાલ ટ્રોલર્સના નિશાન પર છે. જેના પર
નિરજ ચોપરાએ આજે સ્પષ્ટતા કરી છે કે અરશદ નદીમને આમંત્રણ પહલગામ આતંકી હુમલા અગાઉ અપાયું
હતું. નિરજ કહે છે કે મારી ઇમાનદારી પર સવાલ ઉઠી રહ્યા છે. જે મને ઘણા દુ:ખી કરે છે.
મારા પરિવારને અપશબ્દો કહેવામાં આવે છે. મોટાભાગે હું ક્યારેય બોલતો નથી, પણ એનો એ
મતલબ નથી કે ખોટું થઇ રહ્યું હોય અને હું ચૂપ રહું. અમે સીધા-સાદા લોકો છીએ. સોશિયલ
મીડિયા પર અમારા વિશે એલફેલ ન બોલો. હું આટલા વર્ષોથી દેશનું પ્રતિનિધિત્વ કરું છું
મારી ઇમાનદારી પર સવાલ થાય તે પીડાદાયક છે.