લખનઉના કપ્તાન ઋષભ પંતના ખરાબ દેખાવની અસર પૂરી ટીમ પર પડી રહી છે
લખનઉ
તા.8: લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધના શુક્રવારે
રમાનારા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ વધુ એક વિજય સાથે પ્લેઓફ પ્રવેશ નિશ્ચિત
કરવા માંગશે. હાલ તેના ખાતામાં 11 મેચમાં 16 પોઇન્ટ છે. લખનઉ સામેની જીતથી તે 18 પોઇન્ટ
સાથે પ્લેઓફ પ્રવેશ કરનારી સીઝનની પહેલી ટીમ બની શકે છે. બીજી તરફ એલએસજીએ તેની રહી-સહી
આશા જીવંત રાખવા માટે હર-હાલમાં આ મેચ જીતવો પડશે. આથી ઋષભ પંતની ટીમ માટે આ મુકાબલો
કરો યા મરો સમાન છે. કપ્તાન પંત ખુદ આઉટ ઓફ ફોર્મ છે અને તેની સીધી અસર પૂરી ટીમ પર
જોવા મળે છે. આ દબાણમાંથી બહાર આવીને એલએસજી ટીમે હોમ ગ્રાઉન્ડ પર આરસીબી સામે ચમકદાર
દેખાવ કરવો પડશે.
લખનઉને
પાછલા પાંચ મેચમાં ચાર હાર મળી છે. આથી તે પ્લેઓફ રેસમાં પાછળ ધકલાઇ ગયું છે. તેના
હવે ત્રણ મેચ બાકી છે અને તમામ મેચમાં વિજયથી 16 અંક સુધી પહોંચી શકે છે. બીજી તરફ
આરસીબી પાછલા છ મેચમાંથી પાંચમાં જીત મેળવી પ્લેઓફ તરફ આગેકૂચ કરી રહી છે.
લખનઉની
ચિંતા તેના કપ્તાન ઋષભ પંતનો ખરાબ દેખાવ છે. આઇપીએલ ઇતિહાસના સૌથી મોંઘા 27 કરોડના
આ ખેલાડી રન માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. તે 11 મેચમાં ફકત 128 રન જ કરી શકયો છે
અને તેની સરેરાશ 12.80 છે. પંતની નિષ્ફળતાની અસર બીજા બેટધરો પર પણ પડી છે. નિકોલસ
પૂરન, મિચેલ માર્શ અને એડન માર્કરમની પણ રન રફતાર પર બ્રેક લાગી છે. આથી ટીમ સતત હાર
સહન કરી રહી છે. આ તમામ ખેલાડીઓએ નિર્ણાયક મેચમાં ફોર્મમાં વાપસી કરી જોરદાર દેખાવ
કરવો પડશે.
બીજી
તરફ આરસીબી ટીમ ઓલરાઉન્ડ દેખાવ કરી રહી છે. તે પ્રથમ ટ્રોફી તરફ આગળ વધી રહી છે. સ્ટાર
વિરાટ કોહલીથી લઇને રોમારિયો શેફર્ડ શાનદાર દેખાવ કરી રહ્યા છે. આરસીબીએ ઇજાગ્રસ્ત
દેવદત્ત પડીક્કલના સ્થાને મયંક અગ્રવાલને સામેલ કર્યોં છે. જે મોકો મળ્યે ખુદને સાબિત
કરવા ઉત્સુક છે. આરસીબી માટે કાંગારૂ ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ એકસ ફેકટર છે. તે 19 વિકેટ
સાથે પર્પલ કેપની રેસમાં છે.