• ગુરુવાર, 19 જૂન, 2025

રાજકોટમાં નવેમ્બર મધ્યે આફ્રિકા અને ભારત A ટીમ વચ્ચે વન ડે શ્રેણી રમાશે

વિન્ડિઝ અને આફ્રિકા સામેના ટેસ્ટ મેચના સ્થળમાં પણ ફેરફાર

રાજકોટ/મુંબઇ,  તા.9: ભારત અને દક્ષિણ આફ્રિકા એ ટીમ વચ્ચેના ત્રણ વન ડેની શ્રેણી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર નવેમ્બર મધ્યે રમાશે. અગાઉ આ વન ડે શ્રેણી બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાવાની હતી. હવે બીસીસીઆઇએ આજે સ્થળ ફેરફાર કરી આફ્રિકા-ભારતની એ ટીમ વચ્ચેની આ ત્રણ મેચની વન ડે શ્રેણી રાજકોટમાં રમાશે તેવું જાહેર કર્યું છે. બેંગ્લુરુમાં મહિલા વિશ્વ કપના લીગ મેચ અને ફાઇનલ રમાવાનો છે. રાજકોટમાં ભારત-આફ્રિકા એ ટીમ વચ્ચેના ત્રણ વન ડે મેચ 13, 16 અને 19 નવેમ્બરે રમાશે. આ ત્રણેય મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી મળશે.

બીસીસીઆઇએ જાહેર કર્યું છે કે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો મેચ હવે કોલકતાના બદલે દિલ્હી ખાતે રમાશે. જ્યારે ભારત-આફ્રિકા વચ્ચેનો પહેલો ટેસ્ટ દિલ્હીના બદલે કોલકતા ખાતે રમાશે. આ મેચનું આયોજન 14થી 18 નવેમ્બર દરમિયાન થયું છે.

બીસીસીઆઇએ આ ફેરફાર આવતા વર્ષે રમાનાર ટી-20 વિશ્વ કપ અને આ વર્ષે રમાનાર મહિલા વન ડે વિશ્વ કપની તૈયારીને ધ્યાને રાખીને કર્યાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક