• રવિવાર, 20 જુલાઈ, 2025

માંચેસ્ટરમાં બુમરાહ રમશે કે નહીં ?

સહાયક કોચે સ્પષ્ટતા કરી

લંડન, તા.18: ત્રીજા ટેસ્ટની 22 રનની સાંકડી હાર પછી ઇંગ્લેન્ડ સામેના ચોથા ટેસ્ટમાં જસપ્રિત બુમરાહ રમશે કે વિશ્રામ અપાશે તે વિશે ચર્ચા ચાલી રહી છે. ચોથો ટેસ્ટ માંચેસ્ટરમાં રમવાનો છે અને તા. 23મી બુધવારથી શરૂ થશે. હાલ ભારતીય ટીમ 1-2થી પાછળ છે. આથી શ્રેણી જીવંત રાખવા ટીમ ઇન્ડિયા માટે ચોથો ટેસ્ટ કરો યા મરો મુકાબલો છે.

શ્રેણીના બીજા ટેસ્ટમાં બુમરાહને વિશ્રામ અપાયો હતો. પાંચ મેચની શ્રેણીમાં બુમરાહ ત્રણ ટેસ્ટ રમવાનો છે. ચોથો મેચ નિર્ણાયક હોવાથી બુમરાહનું હિસ્સો બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જો કે ટીમ મેનેજમેન્ટ તરફથી બુમરાહની ફિટનેસ પર કોઇ અપડેટ અપાયા નથી. આ દરમિયાન ભારતીય ટીમના અભ્યાસ સત્ર દરમિયાન સહાયક કોચ રેયાન ટેન ડેશકાટે સ્પષ્ટ કર્યું કે માંચેસ્ટરમાં સિરીઝ નિર્ણાયક સ્થિતિમાં હશે. આથી અમે બુમરાહને ઉતારવા ઉત્સુક છીએ. જો કે તે રમશે કે નહીં તેનો ફેસલો અંતિમ ક્ષણોમાં લેવામાં આવશે. અમને ખબર છે કે બાકીના બે ટેસ્ટ મેચમાંથી એકમાં તેને રમાડવાનો અમારી પાસે મોકો છે. ભારતીય ટીમ 19મીએ માંચેસ્ટર પહોંચશે. એ પછી બધા નિર્ણય લેવામાં આવશે.

લોર્ડસ ટેસ્ટ દરમિયાન બેન સ્ટકોસે ફિટનેસની સમસ્યા છતાં ટીમના હિતને ધ્યાનમાં રાખીને 9.2 અને 10 ઓવરના બે સ્પેલ સતત ફેંકયા હતા. જે વિશેના સવાલ પર ભારતીય સહાયક કોચે બન્ને ખેલાડીની તુલનાનો ઇનકાર કરી દીધો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક