• સોમવાર, 18 મે, 2026

અર્શદીપ અને કુલદીપ હાથ ઘસતા રહી ગયા આખરી ટેસ્ટની ભારતીય ઇલેવનમાં 4 ફેરફાર

લંડન, તા.31: ઇંગ્લેન્ડ વિરુદ્ધના નિર્ણાયક અને પાંચમા ટેસ્ટમાં ભારતીય ટીમ ચાર બદલાવ સાથે મેદાનમાં ઉતરી હતી. જો કે ધારણા મુજબ યુવા ઝડપી બોલર અર્શદીપ સિંઘને પદાર્પણની તક મળી ન હતી અને ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવનું ઇલેવનમાં પુનરાગમન થયું ન હતું. બન્નેની પ ટેસ્ટની શ્રેણીમાં ફક્ત નેટ બોલર બનીને રહેવું પડયું છે. બન્નેને એક પણ ટેસ્ટમાં મોકો મળ્યો ન હતો.

શ્રેણીમાં સતત પાંચમીવાર ટોસ હાર્યાં પછી ભારતીય કપ્તાન શુભમન ગિલે જણાવ્યું કે અમે માંચેસ્ટર ઇલેવનમાં ચાર ફેરફાર કરી અહીં ઉતરશું. ધ્રુવ જુરેલ વિકેટકીપર છે. તેણે ઋષભ પંતની જગ્યા લીધી છે. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના સ્થાને મીડલ ઓર્ડર બેટર કરુણ નાયરનો સમાવેશ કરાયો છે જ્યારે જસપ્રિત બુમરાહ અને અંશુલ કમ્બોજના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશદીપ સામેલ થયા છે.

ઇંગ્લેન્ડની ઇલેવનમાં પણ 4 ફેરફાર થયા હતા. કપ્તાન બેન સ્ટકોસ, જોફ્રા આર્ચર, બ્રાયડન કાર્સ અને લિયામ ડોસનના સ્થાને જેકેબ બેથેલ, ગસ એટકિંસન, જેમી ઓવર્ટન અને જોશ ટંગનો સમાવેશ કરાયો હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક