મુંબઇ, તા.4: રાઇજિંગ સ્ટાર્સ એશિયા કપની ભારત એ ટીમનું સુકાન વિકેટકીપર જિતેશ શર્માને સોંપવામાં આવ્યું છે. જિતેશ હાલ ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ ટૂર્નામેન્ટનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ કરે છે. સપ્ટેમ્બરમાં સિનિયર ટીમો વચ્ચે એશિયા કપ રમાયો હતો. હવે એ ટીમો વચ્ચે આ ટી-20 ટૂર્નામેન્ટ રમાશે. જેને મીનિ એશિયા કપ પણ કહેવામાં આવે છે. એશિયા કપમાં ભારત ફાઇનલમાં પાકિસ્તાનને હાર આપી ચેમ્પિયન બન્યું હતું. જેની ટ્રોફી હજુ ભારતને મળી નથી. એશિયા કપ વચ્ચે ભારત-પાકિસ્તાન ટીમ વચ્ચે સારો તણાવ રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ પાક. ટીમ સાથે હાથ મિલાવ્યા ન હતા.
રાઇજિંગ
સ્ટાર્સ એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન દોહા ખાતે 14થી 23 નવેમ્બર દરમિયાન થયું
છે. ભારતની એ ટીમમાં 14 વર્ષીય આઇપીએલ સ્ટાર વૈભવ સૂર્યવંશી પસંદ થયો છે. આઇપીએલમાં
સારો દેખાવ કરનાર આશુતોષ શર્મા, નેહલ વઢેરા, પ્રિયાંશ આર્ય સહિતના ખેલાડીઓ પસંદ થયા
છે.
આ ટૂર્નામેન્ટમાં
ભારત-પાકિસ્તાન એ ટીમ વચ્ચેનો મેચ તા. 16 નવેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર
8 ટીમને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ એમાં અફઘાનિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા
અને હોંગકોંગ છે. જ્યારે ગ્રુપ બીમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઇ છે.
ભારતીય
એ ટીમ: જિતેશ શર્મા (કેપ્ટન-વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વઢેરા,
નમન ધીર, સુર્યાંશ શેડગે, રમનદીપ સિંઘ, હર્ષ દૂબે, આશુતોષ શર્મા, યશ ઠાકુર, ગુરજનપ્રિત
સિંઘ, વિજયકુમાર વૈશાખ, યુદ્ધવીર સિંહ, અભિષેક પેરોલ અને સુયશ શર્મા.