• શનિવાર, 26 એપ્રિલ, 2025

રાજકોટને ‘ઈકોનોમિક ઝોન’ તરીકે વિકસિત કરાશે : મુખ્યમંત્રી

ભૂતકાળમાં રૂ.1 લાખનું કામ માટે લોકોને મુશ્કેલીઓ થતી પરંતુ વડાપ્રધાનની વિકાસની રાજનીતિથી આજે એક દી’માં કરોડોના વિકાસકામો થઈ રહ્યાં છે : ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે બજેટમાં ગત વર્ષ કરતા 40 ટકાનો વધારો કરી રૂ.30,325 કરોડની ફાળવણી કરી

કોર્પોરેશન અને રૂડાના સંયુક્ત ઉપક્રમે કુલ રૂ.565.63 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનો મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

રાજકોટ, તા.26 : ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે રાજ્યના તમામ શહેરોમાં આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્રો બની રહ્યાં છે. આ આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ આયોજન કરીને શહેરો તેમજ આસપાસના વિસ્તારોમાં વિકાસ માટે ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 6 ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યુ છે જેના માટે ખાસ રિજીયોનકલ ઈકોનોમિક્સ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે તેમાં રાજકોટને પણ એક ઝોન તરીકે  વિકસાવવામાં આવશે’ તેવું આજે રાજકોટામાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.

રાજકોટ કોર્પોરેશન અને રૂડાના સંયુક્ત ઉપક્રમે કુલ રૂ.565.63 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા પીએમ આવાસ યોજનાના 183 લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્યુટરાઈઝ્ડ ડ્રો આજરોજ શહેરના નવા દોઢસો ફૂટ રીંગ રોડ, કટારિયા ચોકડી પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રંગીલા રાજકોટવાસીઓની સુખાકારીમાં વધારો થાય તે માટે આજરોજ એક જ દિવસમાં રૂ.500થી વધુ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂર્હુત થઈ રહ્યાં છે. એક સમય એવો પણ હતો જ્યારે રૂ.1 લાખનું કામ લોકોએ કરાવવું હોય તો પણ મુશ્કેલી  થતી હતી પરંતુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે. એક જ દિવસમાં કરોડોના કામો થઈ રહ્યાં છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના શહેરીકરણમાં પણ બદલાવ આવ્યો છે. સોને આવાસ, આરોગ્ય અને આહાર..જેવી ‘ઈઝ ઓફ લિવિંગ’ની સંકલ્પના સાથે રાજ્યના શહેરો વિકાસની હરણફાળ ભરી રહ્યાં છે. વર્ષ 2010માં ગુજરાતની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી પ્રસંગે વડાપ્રધાને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જાહેર કરી હતી. આ યોજનાના કારણે રાજ્યના શહેરીકરણમાં નવા આયામો સર કર્યા છે. લોકોને વધુ સુવિધા આપવા 69 નગરપાલિકાનું અપગ્રેડેશન કરાયું છે. છે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટ સાથે 2025ના વર્ષને આપણે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. આ નિર્ણયને અમલી બનાવવા રાજ્ય સરકારે શહેરી વિકાસ વિભાગ માટે બજેટમાં ગત વર્ષ કરતાં 40 ટકાના વધારા સાથે 30 હજાર 325 કરોડની પણ ફાળવણી કરી છે.

કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખો મુકેશ દોશી, કમલેશ મિરાણી, મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનીષ રાડિયા, પ્રભારી પ્રકાશ સોની, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર પ્રભવ જોશી, મનપાના વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતાં.

પાણીની ચિંતા ન કરતા, આગોતરું આયોજન કરી રાખ્યું છે : મુખ્યમંત્રી

રાજકોટમાં આગામી એપ્રિલ માસમાં સર્જાનારી પાણીની કંટોકટી મુદ્દે શહેરીજનોને સતાવતી ચિંતાનો મુખ્યમંત્રીને આગોતરા અણસાર આવી ગયો હોય તેમ આજે તેઓએ પોતાના વક્તવ્યના પ્રાંરભમાં શહેરીજનોને પાણીની ચિંતા ન કરવા જણાવ્યું હતું. લોકોની તાલીઓ ઓછી પડતાં, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તાલીઓ કેમ પાડતા નથી, શું કોઈ કામ અધુરું રહ્યું છે હજું તો ઘણા કામ આપવાના છે. રાજકોટને પાણીની ચિતા ન થાય તે માટેનું આયોજન કરી નાખ્યું છે. મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં સ્વચ્છતા બાબતે તંત્રને આડે હાથ લીધું હતું, તેઓએ જણાવ્યું હતું કે, ‘રંગીલું રાજકોટ હવે સ્વચ્છતાનું પાટનગર બનશે’ તેવું રસ્તામાં તેમને વાંચવા મળ્યું પરંતુ માત્ર નેતા આવે ત્યારે સફાઈ ન કરતાં, નિયમિત સફાઈ ચાલુ રાખજો. સ્વચ્છતા બાબતે લોકોને પણ જાગૃતતા દાખવી સાથ સહકાર આપવા તેઓએ અનુરોધ કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક