• શનિવાર, 26 એપ્રિલ, 2025

રેસના અને લગ્નના ઘોડા હવે છુટ્ટા પડી જશે : રાહુલ ગાંધી

-સંગઠનને મજબૂત કરવા હવે લોકસભા વિપક્ષના નેતાના ગુજરાતમાં ધામા : આપણી લડાઈ ભાજપ સામે છે, અંદરોઅંદર નથી : નેતાઓને ટકોર : 30 મે સુધીમાં જિલ્લાના પ્રમુખોના નામ જાહેર થાય તેવી સંભાવના

અમદાવાદ, તા.15 : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી પણ મેદાને આવી ગયા છે. લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે છ દિવસમાં ગુજરાતની બીજી મુલાકાત લીધી હતી. આજે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ખાતે 3-45 વાગ્યે યોજાયેલી બેઠકમાં આગામી તારીખ 23 એપ્રિલ થી 8 મે દરમિયાન કોંગ્રેસ કેન્દ્રીય નિરીક્ષક અને ગુજરાતના 4 નિરીક્ષકો મળીને પાંચ સભ્યોની કમિટીને જે તે જિલ્લામાં સોંપાયેલી જવાબદારી દ્વારા પ્રમુખપદને લાયક 6 વ્યક્તિઓની યાદી ગુજરાત પ્રદેશ પ્રમુખને 8 મે સુધી સોંપવાનો આદેશ આપ્યો છે અને 30 મે સુધીમાં જિલ્લાના પ્રમુખોના નામ જાહેર થાય તેવી સંભાવના રહેલી છે. 

મહત્વની વસ્તુ એ છે કે આજે મળેલી બેઠકમાં સ્ટેજ પર માત્ર રાહુલ ગાંધી, કે સી વેણુગોપાલ, મુકુંદ વાસનિક, શક્તાસિંહ ગોહિલ અને અમિત ચાવડા સાથે પાંચ જ નેતાઓને બેસાડવામાં આવ્યા હતા. આજે પ્રથમ વખત એવું બન્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં કોંગ્રેસના એક પણ નેતાનો નામોલ્લેખ કર્યો ન હતો  બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશના એક નેતા દ્વારા પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તમે બધા 8 મે સુધીમાં શહેર અને જિલ્લાના પ્રમુખોની 6 નેતાઓની યાદી આપો એટલે એમાંથી રેસના ઘોડા અને લગ્નના ઘોડા છૂટા પડી જશે. એટલું જ નહીં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભાજપ સાથે સંકળાયેલા નેતાઓના નામ પણ ખચકાટ વિના આપશો.

રાહુલ ગાંધીએ સાંજે સર્કિટ હાઉસ ખાતે પણ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે એક બેઠક યોજી તી જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓને એવી ટકોર કરી હતી કે, આપણી લડાઈ ભાજપ સામે છે, અંદરોઅંદર નથી. તેમણે જણાવ્યું હતું કે, 2027માં ભાજપને હરાવવા નેતઓને ટાસ્ક સોંપવામાં આવશે. યોગ્ય કામગીરી કરનારા નેતાઓને જ પ્રમોશન મળશે. માત્ર ચૂંટણી વખતે સક્રિય થતાં નેતાઓને ટિકિટ નહીં મળે. તેમણે ઉમેર્યુ હતું કે જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કામગીરી સારી હશે તેને કોંગ્રેસની સરકાર બનશે તો મંત્રીમંડળમાં સ્થાન અપાશે.

બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે શહેર અને જિલ્લાના પ્રમુખની પસંદગી માટે કેન્દ્રના 1 અને ગુજરાતના 4 એમ કુલ પાંચ નિરીક્ષકો ની ટીમ 23 એપ્રિલ થી 8 મે સુધીમાં જિલ્લાઓનો અવિરત પ્રવાસ કરશે.  આ પ્રવાસ મહત્તમ ત્રણ દિવસનો રહેશે. આ પ્રવાસ દરમિયાન નિરીક્ષકો બ્લોક લેવલ સુધીના કાર્યકરો સહિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સંસદસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય, સંગઠન સિવાયના અન્ય લોકોને મળશે.

પ્રવાસ દરમિયાન નિરીક્ષકો બ્લોક લેવલ સુધીના કાર્યકરો સહિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સંસદસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય, સંગઠન સિવાયના અન્ય લોકોને મળશે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખો, જે બનાવવાના છે તે, કોઈ વ્યક્તિનો નહીં, કોઈ જૂથનો નહીં, સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ શું છે ? એ બધું નક્કી કરીને 6 નામ નક્કી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રક્રિયાને લઈને ભૂતકાળમાં 15 નેતાઓથી ચાલતી કોંગ્રેસ હવે, 500 જેટલા કાર્યકરોથી ચાલતી કોંગ્રેસ બનશે. 

અત્રે નોંધનીય છે કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને નિરીક્ષકો દ્વારા મળેલા નામો પર પ્રદેશ કારોબારી અને એઆઈસીસીના ઓબ્ઝર્વર ચર્ચા વિચારણા કર્યા બાદ વધુ મજબૂત હોય તેવા ત્રણ નામો એઆઈસીસીને જિલ્લા વાઇસ મોકલવામાં આવશે. ત્યારબાદ રાહુલ ગાંધી જે તે જિલ્લાના મળેલા ત્રણ નામાવલી વાળા વ્યક્તિઓને રૂબરૂ મળીને તેમની કોંગ્રેસ પ્રત્યેની નિષ્ઠા, વિચારધારા સહિત ચર્ચા કરશે અને ત્યારબાદ સંભવત: 30 મે સુધીમાં શહેર અને જિલ્લા પ્રમુખોની યાદી એઆઈસીસી દ્વારા જાહેર કરવામાં આવશે.

દરમિયાન કોંગ્રેસની બેઠકને લઇને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે  જણાવ્યું હતું કે, 2025નું સમગ્ર વર્ષ સંગઠનને મજબૂત કરવા પાછળ અમે કામગીરી કરીશું. રાહુલ ગાંધીની મુલાકાત વિશે ડ પર લખતા, કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, રાહુલ ગાંધીનો પહેલો ઉદ્દેશ્ય જિલ્લા કોંગ્રેસ સમિતિઓ અને તેમના પ્રમુખોને સશક્ત બનાવીને અને જવાબદારીની નવી પ્રણાલી રજૂ કરીને પાર્ટી સંગઠનને મજબૂત બનાવવાનો છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક