• બુધવાર, 21 મે, 2025

દ્વારકા જગતમંદિરે હાઈએલર્ટ

દરિયાઈ સરહદના માંગરોળના 11 અને માળીયા હાટીનાના 9 ગામોના સરપંચોને હાલની પરિસ્થિતિ સંદર્ભે સચેત કરાયાં

 

રાજકોટ તા.9 : ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ બાદ સમગ્ર દેશમાં હાઈએલર્ટ છે ત્યારે હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સેનાની ત્રણેય પાંખ સહિત પોલીસ, વહીવટી તંત્ર દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. દ્વારકા જગતમંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે.

દ્વારકા : દેશનું પ્રમુખ યાત્રાધામ દ્વારકાનું દ્વારકાધિશ મંદિર ઝેડ કેટેગરી સુરક્ષા હેઠળ આવતું હોવાથી તેમજ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો અતિ સંવેદનશીલ ગણાતો હોવાથી હાલના યુદ્ધ જેવા માહોલમાં નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓ તથા સ્થાનીય વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવીને કામ કરી રહ્યાં છે. દરિયાઈ પેટ્રોલિંગ સહિત જિલ્લાભરના દરિયાઈ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જગતમંદિરમાં પોલીસ સુરક્ષા  સહિત હથિયારધારી પોલીસકર્મીઓને મુકવામાં આવ્યાં છે. અહીં દર્શનાર્થે આવતા ભાવિકોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ સહિત સિવિલમાં પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

દ્વારકાધિશ મંદિર સહિત મહત્વના સ્થળોએ બ્લેકઆઉટ જેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અગમચેતીરૂપે પ્રજાજનોને યુદ્ધની પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તથા એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શનમાં દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા આ ક્ષેત્રના દરિયાઈ વિસ્તારોનું સતત મોનીટરીંગ કરવામં આવી રહ્યું છે.

જામનગર ઓપરેશન સિંદૂર અન્વયે સરહદી જામનગર જિલ્લાને એલર્ટ પર મુકાયો છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિ.કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. તમામ સરકારી હોસ્પિટલોને જરૂરી દવાનો જથ્થો રાખવા સૂચના આપી દેવામાં આવી છે. અત્રેની જી.જી હોસ્પિટલમાં 100 બેડ સાથે ડોક્ટરો,પેરામેડિકલ સ્ટાફ,જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલના અધિક્ષક ડો.દિપક તિવારીએ જણાવ્યું હતું. યુદ્ધના સમયે જી જી હોસ્પિટલ ખાતે ખાસ ફાયરબ્રિગેડની ટીમ સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખી છે. જિલ્લાના 60 હોમગાર્ડ જવાનને બચાવ કામગીરીની તાલીમ આપવામાં આવી છે.  સચાણા બંદરે માછીમારો સાથે પોલીસે સુરક્ષા સંદર્ભે વાર્તાલાપ પણ કર્યો છે. કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 0288-2553404 પર સંપર્ક કરી શકાશે. જામનગરની રતનબાઇ મસ્જિદ દ્વારા મોડી રાત્ર¡ "WE ARE PROUD OF INDIAN ARMY FOR OPERATION SINDOOR" નો પોસ્ટર મારી ને ભારત દેશ વતી પ્રેમ બતાવ્યું હતું.

જૂનાગઢ : માંગરોળ ખાતે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને દરિયાઈ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. તો સાથે સાથે મરીન ટાસ્ફ ફોર્સના કમાન્ડો દ્વારા ફાશિંગ બોટોનું ચાકિંગ અને લેન્ડિગ પોઈન્ટ ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રાલિંગ શરુ કરવામાં આવ્યું છે.  બેઠકમાં કલેક્ટરએ દરિયાઈ સુરક્ષા તેમજ હાલની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી સમીક્ષા કરી હતી. કલેક્ટરએ ખાસ આપત્તિની પરિસ્થિતિમાં બ્લેક આઉટ,  એર રેડ સાયરન તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા અંગે ઉપસ્થિતોને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કોઈ શંકાસ્પદ ઘટના જણાય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અને ખાસ નાગરિકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં ખારવા અને માછીમાર સમુદાયના અગ્રણીઓ ઉપરાંત દરિયાઈ સરહદના માંગરોળના 11 અને માળીયા હાટીનાના 9 ગામોના સરપંચઓને હાલની પરિસ્થિતિ સંદર્ભે સચેત કરવામાં આવ્યા હતા.

વડોદરા : વડોદરા શહેર અને જિલ્લાનું આરોગ્ય તંત્ર તમામ પ્રકારની સુવિધાઓને પહોંચી વળવા સુસજ્જ બન્યું છે. બરોડા મેડિકલ કોલેજ, ગોત્રીની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલ સહિત જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત તમામ તબીબો અને કર્મચારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. બન્ને મોટી હોસ્પિટલમાં દવાઓનો પૂરતો જથ્થા રાખવામાં આવ્યો છે. વીજળી ન હોય ત્યારે ડીઝલ સાથે જનરેટર સેટ કાર્યરત કરી દેવાયાં છે. એકસ્ટ્રા વોર્ડની જરૂર પડશે તો તે શરૂ કરવા માટે તૈયારી શરૂ કરી દેવાઈ છે.

 

એશિયાના નં.1 ઢાંકી પમ્પિંગ સ્ટેશનની સુરક્ષામાં પણ વધારો

લખતર તા.9 : લખતર તાલુકા મથકથી પંદરેક કી.મી. દૂર આવેલા એશિયાના મોટા પમ્પિગ સ્ટેશન ખાતે સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. આ પમ્પિગ સ્ટેશન ફરતે ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો પ્રાથમિક રીતે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. તાલુકા મથકથી પંદરેક કી.મી. દૂર તાલુકાનું ઢાંકી ગામ આવેલું છે. જ્યાં એશિયા નું નં.1 પમ્પિગ સ્ટેશન આવેલું છે. જ્યાંથી સૌરાષ્ટ્ર-કચ્છને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેવામાં સુરક્ષાને ધ્યાને રાખી આ ઢાંકી પમ્પિગ સ્ટેશનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. 

 

સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો

વેરાવળ, તા.9 : જગવિખ્યાત સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરાસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. સોમનાથ મંદિર ઝેડ પ્લસ સિક્યુરિટી કવચ ધરાવે છે. મંદિર પરિસરમાં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ અમલમાં છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ડોગ અને બોમ્બ સ્ક્વોડની તૈનાતી કરવામાં આવી છે. મંદિરની સુરક્ષા માટે  ક્વિક રિસ્પોન્સ સેલની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસ સ્ટાફમાં વધારો કરી નવા પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક નિમણૂક કરી છે. મંદિરના સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ પર સુરક્ષા વધારવામાં આવી છે. જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં શિફ્ટ વાઈઝ નવા પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે.મંદિર પરિસરની આસપાસ જિલ્લા પોલીસ અને મરીન પોલીસની તૈનાતી વધારવામાં આવી છે. જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કોસ્ટગાર્ડ સાથે ઇન્ટરસેપ્ટર બોટ મારફતે સંયુક્ત પેટ્રોલીંગ હાથ ધરી દરિયામાં થતી ગતિવિધિઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જઘઋ અને મરીન પોલીસ માછીમારોની બોટનું ચાકિંગ કરી રહી છે. દરિયાકાંઠાના ગામોના આગેવાનો સાથે માહિતીની આપ-લે કરવામાં આવી રહી છે. પોર્ટ સિક્યોરિટી વધારવામાં આવી છે. પોલીસ સોશિયલ મીડિયાની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.

 

પોરબંદરના જિલ્લા પોલીસવડા સહિત અધિકારીઓએ સમુદ્રમાં ર્ક્યું પેટ્રોલીંગ

 

દરિયાઇ સુરક્ષાનું સુપરવિઝન કરી અધિકારીઓને આપ્યું માર્ગદર્શન

 

પોરબંદર: ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ભર્યા સંબંધો ઉભા થયા છે અને યુધ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પોરબંદર દરિયાઇ માર્ગે પાકિસ્તાનથી નજીક હોવાના કારણે સમુદ્રમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને જિલ્લા પોલીસવડાએ બોટમાં પેટ્રોલીંગ કર્યું હતુ. જમ્મુ- કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓને પાક પ્રેરિત આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારતે જવાબી હુમલામાં જબરી કાર્યવાહી કરીને પાકિસ્તાન ઉપર એટેક કરી દીધો છે ત્યારે પોરબંદરમાં પણ દરિયાઇ સુરક્ષાને વધુ મજબુત બનાવવામાં આવી છે. ભારત- પાકિસ્તાન વચ્ચે ચાલીરહેલા તણાવભર્યા વાતાવરણમાં પોલીસ દ્વારા દરિયાઇ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પોરબંદરના જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા અને ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલીંગ બોટમાં પેટ્રોલીંગ કરીને દરિયાઇ સુરક્ષાનું સુપરવિઝન કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025