નવી
દિલ્હી, તા.18: સમગ્ર દેશ માટે એક નવી ટોલનીતિની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. જેમાં
ટોલનાકાઓને મુસાફરો માટે વધુ સુવિધાજનક બનાવવાની યોજનાઓ લાગુ થશે. આ દરમિયાન કેન્દ્રીય
સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે એક મોટું એલાન કરતાં તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ
લગાવી દીધું હતું. ગડકરીએ ફાસ્ટેગનાં વાર્ષિક પાસ જારી કરવાની જાહેરાત કરી છે. આ વાર્ષિક
પાસની કિંમત 3000 રૂપિયા રહેશે અને તેની શરૂઆત 1પ ઓગસ્ટથી કરવામાં આવશે.
નીતિન
ગડકરીએ આજે સોશિયલ મીડિયાનાં માધ્યમથી આ વાર્ષિક પાસની જાહેરાત કરી હતી. આ પાસ માટે
વર્ષમાં ફક્ત એકવાર 3 હજાર રૂપિયા ખર્ચ કરવાનાં થશે. આ પાસ એક્ટિવ થયા બાદ 1 વર્ષ અથવા
તો 200 યાત્રા સુધી માન્ય રહેશે. એટલે કે જો વર્ષ પૂરું થયા પહેલા જ વાહનની 200 યાત્રા
થઈ જાય તો તેને ફરીથી રિન્યૂ કરાવવાનો રહેશે.
ગડકરીએ
સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, આ એક ઐતિહાસિક પહેલ છે. આગામી 1પ ઓગસ્ટ
2025થી 3000 રૂપિયાની કિંમતવાળા વાર્ષિક ફાસ્ટેગ શરૂ કરવામાં આવશે. આ પાસ વિશેષરૂપે
ફક્ત બિનવ્યવસાયિક ખાનગી વાહનો માટે શરૂ કરવામાં આવી રહ્યાં છે. જે દેશભરનાં રાષ્ટ્રીય
રાજમાર્ગો ઉપર માન્ય રહેશે. આમાં વ્યવસાયિક વાહનોને પાસની સુવિધા મળશે નહીં.
આ વાર્ષિક
પાસેને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે સરકારનાં સ્તરે ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ પાસને
એક્ટિવ કે રિન્યૂ કરાવવા માટે એનએએઆઈ-મોર્થની વેબસાઈટ અને એપ ઉપર એક અલગ લિંક ઉપલબ્ધ
કરાવવામાં આવશે. જેનાં માધ્યમથી વાહનચાલકો વાર્ષિક પાસ ખરીદી શકશે.
એવી
આશા રાખવામાં આવે છે કે, આ વાર્ષિક પાસથી નેશનલ હાઈવે ઉપર ટોલનાકાઓ ઉપર વાહનચાલકોનાં
વિલંબનાં સમયમાં ઘટાડો થશે. આનાથી ટોલનાકે ભીડ પણ ઘટશે. આ સીવાય વારંવાર ફાસ્ટેગ રિચાર્જ
કરવાની ઝંઝટમાંથી પણ વાહનચાલકોને છૂટકારો મળશે.