• ગુરુવાર, 18 જૂન, 2026

ગાઝાની શાંતિ વિરુદ્ધ પાક.માં લોહિયાળ અશાંતિ

ગાઝા શાંતિ યોજના સામે દેખાવો કરતા તહરિક-એ-લબ્બૈકના હજારો કાર્યકર પર પાક રેંજર્સ, પોલીસનો અંધાધૂંધ ગોળીબાર: કત્લેઆમમાં 280 મૃત્યુનો દાવો, 1900થી વધુ પ્રદર્શનકારી ઘાયલ

ઇસ્લામાબાદ, તા. 13 : પાકિસ્તાની સુરક્ષાદળોએ સોમવારે કત્લેઆમ મચાવતાં માત્ર ત્રણ કલાકમાં 280થી વધુ લોકોને મારી નાખ્યા હતા. આ લોહિયાળ નરસંહારમાં ગોળી વાગતાં 1900થી વધુ લોકો ઘાયલ થઇ ગયા હતા. પાકિસ્તાની રેંજર્સ અને પાકિસ્તાન પોલીસે સાથે મળીને આ ગોળીબાર કર્યો હતો.

હકીકતમાં પ્રદર્શનકારીઓ ગાઝામાં ટ્રમ્પની શાંતિ યોજનાનો વિરોધ કરી રહ્યા હતા. તહરિક-એ-લબ્બૈક-પાકિસ્તાન (ટીએલપી)એ કહ્યું હતું કે, પાક દળોના ગોળીબારમાં ઘાયલ થયેલા અનેકની હાલત ગંભીર છે. ટીએલપી વડા સાદહુસૈન રિઝવીએ વિરોધ દેખાવોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે સરકાર વિરોધી, ગાઝા સમર્થક અને ઇઝરાયલ વિરોધી અભિયાન હેઠળ લાહોરથી ઇસ્લામાબાદ સુધી લાંબી રેલી કાઢી હતી.

મુરિદકે શહેરમાં પાકિસ્તાની દળોના ગોળીબારમાં ગોળી વાગતાં ઘાયલ થયેલા રિઝવીની તબિયત નાજુક બતાવાઇ હતી.

ટીએલપી પ્રવકતાએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં  પંજાબ પ્રાન્ત સહિત અનેક ભાગોમાં પરિસ્થિતિ ભારે તાણભરી છે. ભારતીય સમય અનુસાર, આજે વહેલી સવારે ચાર વાગ્યે પાક રેંજર્સ અને પોલીસે ટીએલપીના હજારો કાર્યકરને ઇસ્લામાબાદ જતા રોકવા માટે પહેલાં સ્મોકગ્રેનેડ ફેંક્યા હતા. પછી નવ વાગ્યા સુધી ગોળીબાર કર્યો હતો. રસ્તાઓ પર દૂર સુધી ટીએલપી કાર્યકરોના લોહી નિંગળતા મૃતદેહો અને ગોળીથી વિંધાતા ઘાયલ થયેલા દેખાવકારોની ચીસોથી ભારે ભયાનક દૃશ્યો જોવા મળ્યાં હતાં.

પાકિસ્તાન રેંજર્સ અને પોલીસે સાથે મળીને ટીએલપીના મંચને આગ લગાડી દીધી હતી. લાઠીચાર્જ કરવા સાથે અશ્રુવાયુ પણ છોડાયો હતો.

આ લોહિયાળ નરસંહારના સામે આવેલા વીડિયોમાં તહરિક-એ-લબ્બૈક-પાકિસ્તાનના વડા સાદરિઝવી પાક રેંજર્સ અને પોલીસને ગોળીબાર રોકવાની અપીલ કરતા જોવા મળ્યા હતા.

શાહબાઝ સરકાર અને ટીએલપી વચ્ચે વાતચીત વિફળ રહ્યા બાદ ગઇકાલે રવિવારની રાત્રે 11 વાગ્યે ટીએલપી વડા મૌલાના સાદરિઝવીએ ઇસ્લામાબાદ કૂચનું એલાન કર્યું હતું.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક