• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

PFની 100 ટકા રકમ ઉપાડી શકાશે : જોગવાઈ સરળ બનાવાઇ બેર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણયો

આંશિક ઉપાડની 13 શ્રેણી ઘટીને ત્રણ થઈ : વિવાહ અને શિક્ષા માટે ઉપાડની મર્યાદામાં વધારો

નવી દિલ્હી, તા. 13 : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)એ પોતાની બેઠકમાં ઘણા ઐતિહાસિક અને ખાતેદારોને લાભકારી નિર્ણયો લીધા છે.જેના હેઠળ હવે ઈપીએફ ખાતેદારો એકાઉન્ટમાંથી પુરી રકમનો ઉપાડ કરી શકશે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઈપીએફ આંશિક ઉપાડના નિયમોમાં ઢીલ, વિશ્વાસ સ્કીમની શરૂઆત અને ડિજીટલ રૂપાંતરણ (ઈપીએફઓ 3.0) જેવા નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોથી ઈપીએફઓના સાત કરોડથી વધારે  ખાતેદારોને લાભ મળવાની આશા છે.

ઈપીએફઓ બોર્ડે આંશિક ઉપાડની જોગવાઈને વધારે સરળ અને ઉદાર બનાવી છે. હવે સભ્ય પોતાના ખતામાં જમા રકમમાંથી 100 ટકા સુધીનો ઉપાડ કરી શકશે. પહેલા આંશિક ઉપાડ માટે 13 અલગ અલગ જટીલ જોગવાઈ હતી. જેને હવે એકીકૃત કરીને ત્રણ મુખ્ય શ્રેણીમાં વહેંચી દીધી છે. જેમાં પહેલી આવશ્યક જરૂરિયાત : બીમારી, શિક્ષા, લગ્ન વગેરે, બીજી આવાસ સંબંધિત જરૂરિયાત અને ત્રીજી શ્રેણી વિશેષ પરિસ્થિતિ છે. એટલે કે ઈપીએફઓ સભ્યને કોઈપણ વિશેષ પરિસ્થિતિ જેમ કે મહામારી, પ્રાકૃતિક આફત, લોકઆઉટ વગેરે હેઠળ ઉપાડ માટે કોઈ કારણ બતાવવાની જરૂર નથી.

શિક્ષા અને વિવાહ માટે રોકડ ઉપાડની સીમાને વધારીને ક્રમશ: 10 ગણી અને 5 ગણી કરી દીધી છે. તમામ પ્રકારની આંશિક રોકડ ઉપાડની લઘુત્તમ સેવા અવધિ હવે માત્ર 12 મહિના કરી દેવામાં આવી છે.

ઈપીએફઓએ એક નવી જોગવાઈને જોડી છે. જેના હેઠળ સભ્યો પોતાના ખાતામાં કુલ યોગદાનના ઓછામાં ઓછા 25 ટકા બેલેન્સ રાખવી પડશે.જેનો હેતુ સુનિશ્ચિત કરવાનો છે કે સભ્ય ઉચ્ચ વ્યાજ દર અને કમ્પાઉન્ડિંગના લાભનો આનંદ લેતા સેવાનિવૃત્તિ માટે પર્યાપ્ત રકમની બચત કરી શકે.

નવા નિયમો હેઠળ આંશિક રોકડ ઉપાડની પ્રક્રિયાને પુરી રીતે સ્વચાલિત બનાવવામાં આવશે. હવે સભ્યોને કોઈ દસ્તાવેજ જમા કરાવવાની જરૂરિયાત રહેશે નહીં અને દાવા ઝડપથી ઓનલાઈન ઉકેલી શકાશે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક