• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

મહિલા અનામતથી નવી સંસદમાં ‘શ્રીગણેશ’!

સંસદની નવી ઈમારતમાં કામગીરીની શુભ શરૂઆત 33 ટકા મહિલા અનામત સાથે થવાની આશા

નવીદિલ્હી, તા.18: અપેક્ષાકૃત સંસદનું ટૂંકુ વિશેષ સત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું તેવી રીતે ઐતિહાસિક બની જવાનું છે. આજે સંસદની એનેક્સી બિલ્ડિંગમાં વડાપ્રધાન મોદીનાં અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત ખરડાને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આવતીકાલથી નવા સંસદ ભવનમાં વિધાયકી કાર્યો શરૂ થવાનાં છે ત્યારે તેનાં શ્રીગણેશ આ અતિપ્રતીક્ષિત મહિલા આરક્ષણ સાથે થશે તેવી આશા છે.

આજની કેબિનેટની બેઠક બાદ કોઈ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી પણ પ્રાપ્ત અહેવાલો અનુસાર મંગળવારે સંસદની નવી ઈમારતમાં 33 ટકા મહિલા અનામતનું વિધેયક લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. આજે મળેલી કેબિનેટની બેઠક આશરે દોઢેક કલાક સુધી ચાલી હતી. જેમાં મહિલા અનામત ખરડાને મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. આશરે 27 વર્ષથી અટકેલો આ ખરડો હવે સંસદનાં તખ્તા ઉપર આવી રહ્યો છે. લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 1પ ટકા કરતાં ઓછી છે. જ્યારે રાજ્યસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી પણ ઓછું છે. છેલ્લે 2010માં આ દિશામાં પગલું ભરવામાં આવ્યું હતું અને રાજ્યસભાએ ભારે હંગામા વચ્ચે આ ખરડો મંજૂર કરી દીધો હતો. એ વખતે આ ખરડાને ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું અને જો હવે વિશેષ સત્રમાં આ ખરડો લોકસભાનાં મંચ ઉપર આવશે તો તેમાં કોંગ્રેસનું સમર્થન મળવાનું સુનિશ્ચિત છે. કારણ કે હાલમાં જ કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં પણ આનાં માટે માગણી કરવામાં આવી હતી.

મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીઓની નિયુક્તનું બિલ સંસદના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવશે તેવી અટકળોએ જોર પકડયું છે. રવિવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં મોદી સરકારે જે આઠ બિલની યાદી વિપક્ષને આપી છે તેમાં ચૂંટણી અધિકારી સંબંધિત બિલ નહોતું. મીડિયા સાથેની વાતચીતમાં સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ બિલનું નામ લીધું નહોતું. જો કે સરકાર આ વિવાદાસ્પદ ખરડામાં સંશોધનનો વિચાર કરી રહી છે તેવું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીઓને સુપ્રીમ કોર્ટના જજનો દરજ્જો ન આપવાનો વિરોધ થઈ રહ્યો છે. બિલમાં તેઓનો દરજ્જો કેબિનેટ સચિવને બરાબર કરવાનો પ્રસ્તાવ છે. જેના ઉપર વિપક્ષ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે.