ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાનો આજે 10મો દિવસ: હવે ફસાયેલા શ્રમિકોનાં જીવનની સલામતીના પ્રયાસોમાં વધુ આસાની
નવીદિલ્હી, તા.20: ઉત્તરકાશીમાં ધસી ગયેલી સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકને બચાવવાનાં અભિયાનમાં આજે નવમા દિવસે એક મોટી સફળતા મળી હતી. સિલ્ક્યારા પાસે સુરંગમાં ધસેલી માટીથી અવરોધાયેલા હિસ્સામાં 6 ઇંચની પ3 મીટર લાંબી પાઇપલાઇન ડ્રિલિંગ કરીને આરપાર પસાર કરી દેવામાં આવી છે. જેનાં મારફત હવે જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા શ્રમિકોને ખાદ્યસામગ્રી અને સંચારનાં ઉપકરણો પહોંચાડવામાં આવશે.
આજે સાંજે સાડા ચાર કલાકે એનએચએઆઇડીસીએલના ડિરેક્ટર અંશુમનીષ ખલખો સહિતનાં પ્રશાસનનાં વરિષ્ઠ અધિકારી દ્વારા સંચાલિત બચાવ-રાહત અભિયાનનાં પ્રભારી દીપક પાટિલે જણાવ્યું હતું કે, નવમા દિવસે મળેલી આ પહેલી મોટી કામિયાબી બાદ શ્રમિકોને જલ્દી સુરક્ષિત બહાર કાઢવાનાં પ્રયાસો હાથ ધરી દેવામાં આવશે.
સુરંગમાં અટવાયેલા શ્રમિકોના જીવનની રક્ષા માટે અત્યાર સુધી 4 ઈંચની પાઇપલાઇન જ લાઇફ લાઇન બનેલી હતી.
હવે વૈકલ્પિક વ્યવસ્થા માટે છ ઇંચ વ્યાસની બીજી પાઇપલાઇન પણ બિછાવી દેવામાં આવી છે. જેમાં હવે વધુ મોટા કદનાં સાધન-સામગ્રીઓ અંદર મોકલી શકાશે.
આ બચાવ અભિયાનમાં વાયુસેના પણ સતત સહાયતામાં છે. અત્યાર સુધીમાં વાયુસેનાએ 36 ટનનાં બેહદ મહત્ત્વપૂર્ણ ઉપકરણોને એરલિફ્ટ કરીને ટનલ સુધી પહોંચાડેલા છે.