• બુધવાર, 04 જૂન, 2025

આજે અમરેલી, ભાવનગર અને ગિર સોમનાથમાં વરસાદની શકયતા

હાલમાં ગુજરાતમાં કોઇ સિસ્ટમ સક્રિય નથી, આગામી સાત દિવસ છૂટછવાયા સ્થળોએ વરસાદની આગાહી

અમદાવાદ, તા. 1: આગામી સાત દિવસમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે એમ પણ કહ્યુ છે કે હાલમા ંગુજરાત કોઇ સિસ્ટમ સક્રિય નથી. જોકે, ભેજના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ ત્રણ દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શકયતા છે. હાલ ચોમાસુ મુંબઈ સુધી પહોંચ્યું છે.

રાજ્યમાં આગામી 12 જૂનની અંદરમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થવાનું અનુમાન છે. આ પછી 20થી 25 જૂનમાં અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં અને 30 જૂન સુધીમાં તો સમગ્ર ગુજરાતભરમાં ચોમાસુ બેસવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુસાર 2થી 5 જૂન સુધીમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે 6 જૂને ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

હવામાન નિષ્ણાતોના અનુસાર પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્રમાં અટકી ગઈ હતી. આ ગરમ પવનોએ ચોમાસાની સિસ્ટમને અસર કરી, જેના પરિણામે તે સ્થિર થયું છે. જોકે, હવે ચોમાસાની ગતિ ફરીથી તેજ થવાની શક્યતા છે. તેમણે આગાહી કરી છે કે, 8થી 12 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદની શરૂઆત થશે. આ સમયગાળા દરમિયાન, મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જે ચોમાસાને ગુજરાત તરફ આગળ વધવા માટે માર્ગ મોકળો કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક