• મંગળવાર, 21 મે, 2024

ટંકારાના લતીપર પાસે કાર પલટી મારતા મોરબીના બે વૃદ્ધાના મૃત્યુ ઘવાયેલા પાંચ સભ્યને સારવાર અર્થે મોરબી ખસેડાયા

મોરબી, તા.30 (ફૂલછાબ ન્યૂઝ) : મોરબીનો રહેવાસી પરિવાર દ્વારકા દર્શન માટે ગયો હતો. જ્યાંથી પરત ફરી વેળાએ ટંકારાના લતીપર રોડ પર અલ્ટો કાર પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં કારમાં સવાર બે વૃદ્ધાના મૃત્યુ થયા હતા તો બાળકો સહિત પરિવારના 5 સભ્યને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલખસેડાયા હતા. 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘૂંટુ રામકો વિલેજમાં રહેતો બારોટ પરિવાર દ્વારકા દર્શન કરવા ગયો હતો અને દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ટંકારાના લતીપર રોડ પર અકસ્માત સર્જાયો હતો. અલ્ટો કાર જીજે-36એફ-0720 પલટી મારી જતા રોડની નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતમાં કારમાં નિર્મળાબેન રાજેશભાઈ બારોટ (ઉં.65) અને ગૌરીબેન રામકુમાર રેણુકા (ઉં.70)ના કરૂણ મૃત્યુ થયા હતા.

તો કારમાં સવાર શક્તિભાઈ રાજેશભાઈ બારોટ (ઉં.39) તેના પત્ની જલ્પાબેન શક્તિભાઈ બારોટ (ઉં.30), આસ્થા શક્તિભાઈ બારોટ (ઉં.9), તુલશીબેન શક્તિભાઈ (ઉં.5) અને જીનલબેન શક્તિભાઈ (ઉં.1.5) એમ પરિવારના પાંચ સભ્યોને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના બનાવને પગલે ટંકાર પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક