કોલકાતા, તા. 1 : કોલકાતા ઈસ્કોનની પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રાના રથના 48 વર્ષ બાદ પૈડાં બદલાવાયા હતા. ઘણાં વર્ષોથી રથને ચલાવવામાં સમસ્યા થતી હોવાથી છેલ્લા 15 વર્ષથી આયોજકો નવા પૈડાંની તલાશમાં હતા, તેથી આ વખતે રથમાં સુખોઈ જેટ વિમાનના પૈડાં લગાવાઈ રહ્યા છે.
એક
મીડિયા હેવાલ મુજબ, આયોજકોએ જણાવ્યું હતું કે, રથમાં બોઈંગ વિમાનના જૂનાં ટાયરનો ઉપયોગ
કરાતો હોય છે, પરંતુ બજારમાં તેની ઉપલબ્ધતા ન હોવાથી ચર્ચાવિમર્શ બાદ સુખોઈ જેટના ટાયર
રથમાં લગાવવાનો નિર્ણય લેવાયો હતો, સુખોઈના પૈડાંનો વ્યાસ બોઈંગ વિમાનના પૈડાં સાથે
મળતો હોવાથી મેનેજમેન્ટે આ ટાયરની ખરીદી કરી હતી, જેને રથમાં લગાવવાની પ્રક્રિયા શરૂ
કરાઈ છે. નોંધનીય છે કે, જગન્નાથની રથયાત્રા દરવર્ષે આષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજી
તિથિએ શરૂ થતી હોય છે અને 11 દિવસે જગન્નાથ પરત ફરતાં યાત્રા સમાપ્ત થાય છે. આ વખતે
27 જૂનથી રથયાત્રા આરંભ થશે, જે આઠ દિવસ ચાલશે અને 5 જુલાઈના પૂર્ણ થશે.