• શુક્રવાર, 03 મે, 2024

‘ભ્રષ્ટોને મોદીની ગેરંટી અકળાવે છે’

મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં સભાઓ ગજવતાં વડાપ્રધાનના વિપક્ષ પર પ્રહાર

અમરોહા, તા. 19 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના દમોહમાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે કહ્યું કે, આ ચૂંટણી દેશની ચૂંટણી છે. દેશને વિશ્વ મહાસત્તા બનાવવાની આ ચૂંટણી છે. મોદીએ કહ્યું, વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ છે ત્યારે ભારતમાં યુદ્ધના ધોરણે કામ કરતી સરકારની ખૂબ જ જરૂર છે અને આ કામ પૂર્ણ બહુમતી સાથે ભાજપ સરકાર જ કરી શકે છે.

વડાપ્રધાન મોદી 12 દિવસમાં ચોથી વખત મધ્યપ્રદેશના પ્રવાસે છે. આ પહેલાં મોદીએ 7 એપ્રિલે જબલપુરમાં રોડ શો કર્યો હતો. 9 એપ્રિલે તેમણે બાલાઘાટમાં એક બેઠક યોજી હતી. નર્મદાપુરમના પીપરિયામાં 14મી એપ્રિલે સભા કરી હતી.

નરેન્દ્ર મોદી ત્યારબાદ શુક્રવારે ઉત્તરપ્રદેશના અમરોહા પહોંચ્યા હતા. સ્ટેજ પર ઢોલક સાથે મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, અહીં ઢોલકની ગુંજ દૂર-દૂર સુધી સંભળાય છે. આ સમયે હું ભીડને જોઈ રહ્યો છું. તમારો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આજની એકમાત્ર થાપ છે કમળ છાપ. અમરોહાનો ઢોલક પણ દેશભરમાં ધબકે છે. ક્રિકેટ વર્લ્ડકપમાં ભાઈ મો. શમીએ જે કમાલ કરી. આખી દુનિયાએ તે જોયું.

રમતગમતમાં તેમના શાનદાર પ્રદર્શન બદલ કેન્દ્ર સરકારે ભાઈ મો. શમીને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. યોગીજી અહીં યુવાનો માટે સ્ટેડિયમ પણ બનાવી રહ્યા છે. આ માટે હું અમરોહાના લોકોને અભિનંદન આપું છું.

પરિવારવાદી અને ભ્રષ્ટ નેતાઓને મોદીની ગેરંટી અકળાવી રહી છે. તેઓ કહે છે કે, જો ત્રીજી વખત ભાજપની સરકાર બનશે તો દેશમાં આગ લાગી જશે. ઈન્ડી ગઠબંધનવાળા લોકો મોદીને અવાર-નવાર ધમકીઓ આપી રહ્યા છે, પરંતુ મોદી આ ધમકીઓથી ન તો પહેલા ડર્યા છે અને ન તો ક્યારેય ડરશે.

મોદીએ કહ્યું, આપણા ભગવાન રામ રાજા તરીકે બિરાજમાન છે. બુંદેલખંડની ધરતી જોઈ રહી છે કે, કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનના સભ્યો કહે છે કે, સનાતન ડેન્ગ્યૂ અને મેલેરિયા છે. તેઓ તમારા આશીર્વાદથી અયોધ્યામાં બનેલા રામમંદિરની પણ વિરુદ્ધ છે. તેઓ રામની પૂજાને દંભ કહે છે. આ નિવેદન ત્યારે સામે આવ્યું, જ્યારે અયોધ્યામાં રામનવમી પર ભગવાન રામને તિલક લગાવવામાં આવી રહ્યું હતું. આ લોકો મતની રાજકારણ માટે આ બધું કરે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક