ભાજપના કાર્યકરોએ ઘેર્યા અને થઈ ધક્કામુક્કી
કોલકત્તા તા.19 : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીએ થયેલી હિંસા બાદ રાજકીય તકરાર વધી છે. હિંસાના ઈજાગ્રસ્તોને જોવા જયારે કોંગ્રેસના નેતા સ્થાનિક સાંસદ અધીર રંજન ચૌધરી પહોંચ્યા તો મુર્શિદાબાદ મેડિકલ કોલેજ ખાતે પ્રદર્શનકારીઓએ તેમને નિશાન બનાવ્યા હતા.
ભાજપના કાર્યકરો અધીર રંજનને ઘેરી વળ્યા અને નારેબાજી કરી હતી. દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. કથિત રુપે ભાજપના એક નેતા અને અધીર રંજન ચૌધરી વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી. અધીરે ભાજપના એ નેતાને ધક્કો માર્યો હતો. વાયરલ પોસ્ટ અનુસાર અધીરના સુરક્ષા જવાનોએ ભાજપના જિલ્લા પ્રમુખને ધક્કે ચઢાવ્યા હતા. ચૂંટણી પહેલા બંગાળમાં રાજકીય તાપમાનનો પારો ઉંચકાયો છે. નેતાઓ એકબીજા વિરુદ્ધ આગ ઓકી રહ્યા છે અને વાત હાથાપાઈ સુધી આવી ગઈ છે.