વાયુ દળના હેલિકોપ્ટરમાંથી પાણી છાંટવામાં આવ્યું; આગની જ્વાળાઓ નૈનીતાલ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી
દેહરાદુન, તા. 27 : ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે. ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે. વન વિભાગના કર્મચારીઓ, ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ આર્મીના જવાનો પણ આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. વાયુસેનાના એમઆઈ-17 હેલિકોપ્ટરથી પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ, આજે ગરમી વધુ હોવાને કારણે આગ વધુ ને વધુ વિકરાળ બની રહી છે.
ઉત્તરાખંડમાં શુક્રવારે આગની 31 મોટી ઘટના બની હતી. આમાંનો સૌથી મોટો મામલો નૈનીતાલમાં સામે આવ્યો હતો, જ્યાં આગ હાઈકોર્ટ કોલોનીની આસપાસ પહોંચી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ ઓલવવા માટે એરફોર્સના હેલિકોપ્ટરને બોલાવવામાં આવ્યું હતું. શુક્રવારે વાયુસેનાના એમઆઈ-17 હેલિકોપ્ટરે ભીમતાલ તળાવમાંથી પાણી ભરીને પંચાયત વિસ્તારમાં લાગેલી આગને બુઝાવી હતી.
ગઢવાલ ડિવિઝનના ચમોલી, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, પૌરી અને ટિહરી, દેહરાદુનના જંગલોમાં આગ સતત કાબૂ બહાર જઈ રહી છે. આ વિસ્તારોમાં મોટાભાગે પાઈનના જંગલો હોવાને કારણે ગરમીના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. ફાયર ફાયટર આગ ઓલવવાના સતત પ્રયાસ કરી રહ્યા છે.
તે જ સમયે, પર્વતીય વિસ્તારોમાં પાણીના અભાવને કારણે આગ પર કાબૂ મેળવી શકાઈ નથી. બીજી તરફ કુમાઉ ડિવિઝનના નૈનીતાલ, બાગેશ્વર, અલ્મોડા અને પિથોરાગઢ વિસ્તારોમાં જંગલમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે જંગલો બળી રહ્યા છે. સાથેસાથે વન્ય પ્રાણીઓ પણ ગ્રામ્ય વિસ્તારો તરફ દોડી રહ્યા છે.