અરજીમાં રસીની આડઅસરની તપાસ, નિષ્ણાત સમિતિની રચના અને વળતર સહિતની માગણી
નવી દિલ્હી, તા.6 : કોવિડ વેક્સીન કોવિશીલ્ડની આડઅસરોની વ્યાપેલી ચિંતા વચ્ચે સુપ્રીમ કોર્ટ આ બારામાં સુનાવણી માટે સહમત થઈ ગઈ છે.
કોવિશિલ્ડ બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્તરૂપે વિકસિત કરવામાં આવી હતી અને સીરમ ઈન્સ્ટિટયૂટ દ્વારા ભારતમાં ઉત્પાદિત કરવામાં આવી હતી. આ રસીની આડઅસરો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને સુપ્રીમે હજી સુધી સુનાવણીની તારીખ નિર્ધારિત કરી નથી.
આ અરજીમાં રસીની આડઅસરની તપાસ અને નિષ્ણાત સમિતિની રચના ઉપરાંત રસી લીધા પછી મૃત્યુ પામેલા પીડિત લોકોને સરકાર પાસેથી વળતર અપાવવા સહિતની માગણીઓનો સમાવેશ થાય છે. જો કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડે આનાં ઉપર તાત્કાલિક સુનાવણી નકારી દીધી છે.